પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મળી હતી ધમકી, એક વર્ષ બાદ રોહિત શર્માએ કર્યો ખુલાસો

રોહિત શર્માએ ICC T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ અંગે મોટો ખુલાસો કર્યો છે. રોહિત શર્માએ જણાવ્યું કે આ મેચ પહેલા ટીમને ધમકી મળી હતી અને તેથી જ તેમને તેમના હોટલના રૂમમાંથી બહાર નહતા જવા દેવામાં આવ્યા. રોહિતે ખુલાસો કર્યો કે બધા ખેલાડીઓના બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હોટેલ સંપૂર્ણપણે ભરેલી હતી અને ખેલાડીઓએ તેમના રૂમમાંથી ઓર્ડર આપવા પડતા હતા.
રોહિત શર્માએ ખુલાસો કર્યો
JioHotstar પર વાત કરતા રોહિત શર્માએ કહ્યું, "ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા અમને કહેવામાં આવ્યું હતું કે અમને ધમકી મળી છે. તેથી મેચના બે દિવસ પહેલા અમને હોટલની બહાર જવાની મનાઈ કરવામાં આવી હતી. કોઈપણ ખેલાડી હોટલની બહાર નહતો જઈ શકતો અને ત્યાંથી વાતાવરણ બદલાઈ ગયું. અમે રૂમમાંથી જ ભોજનનો ઓર્ડર આપી રહ્યા હતા અને આખી હોટેલ એટલી ભરેલી હતી કે ચાલવા માટે પણ જગ્યા નહતી. ફેન્સ, મીડિયા, બધા ત્યાં હતા. પછી તમે સમજો છો કે આ કોઈ બીજી મેચ નથી, કંઈક ખાસ થવાનું છે. અમે સ્ટેડિયમ નજીક પહોંચ્યા કે ભારતીય ફેન્સ અને પાકિસ્તાની ફેન્સ નાચી રહ્યા હતા અને બધા ખૂબ ખુશ હતા."
પાકિસ્તાન સામેની મેચ અંગે રોહિતે કહ્યું, "મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઘણી મેચોમાં ભાગ લીધો છે. મને ગણતરી પણ યાદ નથી પણ મેચ પહેલાની ઉર્જા અને લાગણી ખરેખર ખૂબ જ અલગ છે. તેની તુલના નથી કરી શકાતી." આ મેચમાં રિષભ પંતે ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે 42 રન બનાવ્યા હતા, જેના કારણે પાકિસ્તાનને 120 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રોહિતે પંતની બેટિંગની પ્રશંસા કરતા કહ્યું કે, "આ 42 રન ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતા."
ભારતે મેચ જીતી હતી
ટીમ ઈન્ડિયા તરફથી રિષભ પંત સિવાય અક્ષર પટેલે 20 રન બનાવ્યા જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 13 રન બનાવ્યા. આ ત્રણ ખેલાડીઓ સિવાય અન્ય કોઈ બેટ્સમેન 10 રનનો આંકડો પાર નહતો કરી શક્યો. જવાબમાં, પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવ્યા બાદ ફક્ત 113 રન જ બનાવી શકી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ઘાતક બોલિંગ કરી અને 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી જ્યારે હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 31 રન બનાવ્યા હતા.

