પીયૂષ ચાવલાએ અચાનક ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી, જાણો શું કહ્યું

પીયૂષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ચાવલા 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતા. તે બંને વર્લ્ડ કપ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે જીત્યા હતા.
ભારતીય લેગ-સ્પિનર પીયૂષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પીયૂષ ચાવલાએ 6 જૂન (શુક્રવાર) ના રોજ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ચાવલા 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતા. તે બંને વર્લ્ડ કપ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે જીત્યા હતા.
36 વર્ષીય પીયૂષ ચાવલાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'હું કૃતજ્ઞતા સાથે આ પ્રકરણનો અંત કરું છું. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ સુંદર સફરમાં હંમેશા મને ટેકો આપવા બદલ આપ સૌનો આભાર.” પીયૂષ ચાવલાએ આ સાથે એક લાંબી પોસ્ટ પણ શેર કરી.

પિયુષ ચાવલાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'બે દાયકાથી વધુ સમય મેદાન પર વિતાવ્યા પછી, હવે આ સુંદર રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવાથી લઈને 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ બનવા સુધી, આ અદ્ભુત સફરની દરેક ક્ષણ મારા માટે આશીર્વાદરૂપ રહી છે. આ યાદો હંમેશા મારા હૃદયમાં રહેશે.'
પિયુષ ચાવલાએ આગળ લખ્યું, 'હું મારામાં વિશ્વાસ મૂકનાર તમામ IPL ફ્રેન્ચાઇઝી - પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઇન્ડિયન પ્રીમિયર લીગ મારી કારકિર્દીનો ખૂબ જ ખાસ અધ્યાય રહ્યો છે અને મેં તેમાં રમતી વખતે દરેક ક્ષણની પ્રશંસા કરી છે. હું ખાસ કરીને મારા કોચ - કે.કે. ગૌતમ અને સ્વર્ગસ્થ પંકજ સારસ્વતનો આભાર માનું છું, જેમણે મને ક્રિકેટર તરીકે આકાર આપવામાં અને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.'
પિયુષ ચાવલા લખે છે, 'મારા પરિવારનો, જે હંમેશા મારી શક્તિનો સૌથી મજબૂત સ્તંભ રહ્યો છે. તમારા અવિરત સમર્થન મારા બધા ઉતાર-ચઢાવમાં મારો પાયો રહ્યો છે. ખાસ કરીને મારા સ્વર્ગસ્થ પિતાનો, જેમના વિશ્વાસે મને આ માર્ગ બતાવ્યો. તેમના વિના આ સફર ક્યારેય શક્ય ન હોત. હું BCCI, UPCA (ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન) અને GCA (ગુજરાત ક્રિકેટ એસોસિએશન)નો પણ આભાર માનું છું જેમણે મને એક ક્રિકેટર તરીકે પોતાને નિખારવા અને વ્યક્ત કરવા માટે પ્લેટફોર્મ અને તક આપી.'
પીયૂષ ચાવલા ભાવુક થઈ ગયા અને લખ્યું, 'આજે મારા માટે ખૂબ જ ભાવનાત્મક દિવસ છે કારણ કે હું સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. ભલે હું હવે મેદાન પર પગ નહીં મુકું, પણ ક્રિકેટ હંમેશા મારી અંદર રહેશે. હું આ સુંદર રમતની ભાવના અને શીખને મારી સાથે લઈને એક નવી સફર તરફ આગળ વધવા માટે ઉત્સાહિત છું.'
36 વર્ષીય પીયૂષ ચાવલા છેલ્લે ડિસેમ્બર 2012 માં ભારત માટે રમતા જોવા મળ્યો હતો. જમણા હાથના સ્પિનર પીયૂષે ભારત માટે ત્રણ ટેસ્ટ, 25 ODI અને 7 T20 મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં સાત, ODIમાં 32 અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4 વિકેટ લીધી છે.

