Operation Sindoor: આતંકવાદ માટે… સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર સહિતના ક્રિકેટર્સે શું કહ્યું

Indian Cricketers Reaction on Operation Sindoor: ભારતની ત્રણેય સેનાઓએ મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી ઠેકાણાનો ખાતમો બોલાવી દીધો છે. ભારતીય સેનાએ 7 મેની મધ્યરાત્રિએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એક સાથે અનેક હુમલાઓ કર્યા હતા. આ હુમલામાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલો પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
સેનાની આ કાર્યવાહી બાદ દેશના અનેક વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ સેનાને સલામ કરી અને 'જય હિન્દ'ના નારા લગાવ્યા. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, આકાશ ચોપરા અને પ્રજ્ઞાન ઓઝા, સુરેશ રૈનાએ સેનાના વખાણ કર્યા છે.
આ ઉપરાંત ટીમ ઈન્ડિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવતીએ પણ સોશિયલ મીડિયા પર ઓપરેશન 'ઓપરેશન સિંદૂર'ની એક તસવીર શેર કરી, જેને સેનાએ જારી કરી હતી.
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું, 'એકતામાં નિર્ભય.' શક્તિમાં અમર્યાદિત. ભારતની ઢાલ તેના લોકો છે. આ દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. આપણે એક ટીમ છીએ! જય હિન્દ.
ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'આ ઓપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું છે, જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.' બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને 'કાયર' ગણાવી છે.

