VIDEO: IPL 2026 પહેલા ધોનીએ કેમ બદલ્યો જર્સી નંબર 7, રવિન્દ્ર જાડેજા સાથે છે કનેક્શન?
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2026ની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલા પોતાનો જર્સી નંબર બદલીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. લાંબા સમયથી નંબર 7 સાથે ઓળખ બનાવી ચૂકેલો ધોની હવે 8 નંબરની જર્સીમાં જોવા મળી શકે છે. જોકે, આ જર્સી ચેન્નાઈની ટીમના પીળા રંગની નથી.
ધોનીએ સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરીને લખ્યું, "કેટલાક નંબર તમારી સાથે રહે છે... પરંતુ આજે, હું 8 પર સ્વિચ કરી રહ્યો છું, તમને ટૂંક સમયમાં ખબર પડશે કે શા માટે." આ મેસેજથી ફેન્સ અને નિષ્ણાતોમાં ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ફેરફાર ફક્ત પ્રમોશનલ સ્ટંટ છે કે તેની પાછળ કોઈ ભાવનાત્મક અથવા વ્યૂહાત્મક કારણ છે. એવી પણ અટકળો ચાલી રહી છે કે આ ફેરફાર ટીમમાં જર્સી નંબર મેનેજમેન્ટ સાથે સંબંધિત હોઈ શકે છે.
એક થીયરી એવી પણ ઉભરી આવી છે કે આ નિર્ણય રવિન્દ્ર જાડેજા સાથે સંબંધિત હોઈ શકે છે, જે પહેલા 8 નંબર પહેરતો હતો. જોકે, તે હવે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો છે, જેના કારણે આ નંબર ખાલી છે. ધોની દ્વારા આ નંબર અપનાવવાને ટ્રિબ્યુટ માનવામાં આવી રહી છે, પરંતુ આની સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી.
કેટલાક ક્રિકેટ નિષ્ણાતો તેને બ્રાન્ડિંગ અને માર્કેટિંગ મૂવ પણ માને છે. IPL જેવા મોટા પ્લેટફોર્મ પર જર્સી નંબર બદલાવવો ફેન્સની રુચિ વધારવા અને મર્ચેન્ડાઇઝના સેલ્સને વેગ આપવાનો એક માર્ગ હોઈ શકે છે.
એ પણ શક્ય છે કે CSK ટીમ મેનેજમેન્ટ આગામી સિઝન માટે નવી વ્યૂહરચના પર કામ કરી રહ્યું હોય, જેમાં સિનિયર ખેલાડીઓની ભૂમિકા અને ઓળખને ફરીથી સ્થાપિત કરવામાં આવે.
હાલમાં, ધોની કે ફ્રેન્ચાઈઝી તરફથી આ ફેરફાર પાછળના વાસ્તવિક કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. પરંતુ એક વાત ચોક્કસ છે કે ધોની જે પણ પગલું લે છે તે સમજી વિચારીને લે છે અને આ વખતે પણ તેની પાછળ એક મહત્ત્વપૂર્ણ કારણ હોવું જોઈએ, જે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
ધોનીની જર્સી 2023માં BCCI દ્વારા નિવૃત્ત કરવામાં આવી હતી
BCCIએ 2023 માં મહેન્દ્ર સિંહ ધોનીના જર્સી નંબર 7ને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો હતો. 2017ની શરૂઆતમાં, મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના જર્સી નંબર 10ને પણ કાયમી ધોરણે નિવૃત્ત કરવામાં આવી હતી. ધોનીનો જન્મ 7 જુલાઈ, 1981ના રોજ થયો હતો અને તેણે પોતાની જન્મ તારીખને કારણે આ નંબર અપનાવ્યો હતો.

