ભારતીય ક્રિકેટર અમિત મિશ્રાએ તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ, IPLમાં ત્રણ હેટ્રિક લેનારો એકમાત્ર બોલર

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર આર.અશ્વિને નિવૃત્તિ જાહેર કર્યા બાદ વધુ એક દિગ્ગજ સ્પિનર અમિત મિશ્રાએ તેના નક્શે કદમ પર ચાલતા ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિનું એલાન કરી દીધું છે. તે હવે આઈપીએલની સાથે ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ પણ નહીં રમે. જોકે દુનિયાના અન્ય દેશોમાં રમાતી T20 ટુર્નામેન્ટમાં રમવા જઈ શકશે.
શું કારણ આપ્યું નિવૃત્તિનું?
ભારતના સૌથી સફળ બોલરોમાં સામેલ અમિત મિશ્રાએ નિવૃત્તિ લેવાનું જે કારણ જણાવ્યું છે તે ખરેખર ચોંકાવનારું છે. તેણે કહ્યું કે આ નિર્ણય મેં વારંવાર ઈજાગ્રસ્ત થવા અને યુવાઓને મોટા મંચ પર ચમકવાની તક મળી શકે તે માટે લીધી છે. અમિત મિશ્રાએ આ અંગે એક પ્રેસ રીલિઝ પણ જાહેર કરી હતી.
અમિત મિશ્રાની કારકિર્દી કેવી રહી
અમિત મિશ્રાએ ભારત માટે 22 ટેસ્ટ, 36 ODI અને 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 2003 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 2017 માં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. છેલ્લા 8 વર્ષથી તે IPL અને સ્થાનિક ક્રિકેટમાં એક્ટિવ હતો. તેણે ટેસ્ટમાં 76 વિકેટ, ODIમાં 64 અને T20I ક્રિકેટમાં 16 વિકેટ લીધી હતી. IPLમાં તેના નામે 174 વિકેટ છે. તેને 152-152 ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A મેચનો પણ અનુભવ છે. તેણે પોતાની કારકિર્દીમાં 259 T20 મેચ પણ રમી છે.

