ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ લિજેન્ડ્સને કરાયા સન્માનિત, ખેલાડીઓના નામ પરથી બન્યા સ્ટેન્ડ્સ

IPL 2026ની શરૂઆત પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વેંકટેશ પ્રસાદની અધ્યક્ષતામાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોશિએશને આ ઐતિહાસિક સ્ટેડિયમમાં 2 સ્ટેન્ડ્સના નામ અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડના નામ પર રાખીને ભારતીય ક્રિકેટ લિજેન્ડ્સને સન્માનિત કર્યા છે. સાથે મહિલા નેશલન ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીના નામ પરથી પણ સ્ટેન્ડ્સ બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ દિગ્ગજ ખેલાડીઓએ કર્ણાટક ક્રિકેટ માટે ઘણું યોગદાન આપ્યું છે. રાહુલ દ્રવિડે કહ્યું કે, મે ઘરથી વધારે આ ગ્રાઉન્ડ પર સમય વિતાવ્યો છે.
કુંબલે અને દ્રવિડનું યોગદાન
કુંબલે જૂન 2016થી જૂન 2017 સુધી એક વર્ષ માટે ભારતના હેડ કોચ રહ્યા છે. કુંબલેના નામે ટેસ્ટ અને વનડેમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. જ્યારે બીજી તરફ, સચિન તેંડુલકર પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર બીજા ભારતીય ખેલાડી દ્રવિડે પણ ભારતના હેડ કોચની ભૂમિકા નીભાવી છે અને ટીમને વર્ષ 2024માં બારબાડોસમાં T20 વર્લ્ડ કપ જીતવામાં માર્ગદર્શન આપ્યું હતું. ખાસ વાત એ છે કે, આ બંને ખેલાડીએ ભારતીય કેપ્ટન તરીકે પણ રોલ ભજવ્યો છે.
કુંબલે ભાવુક થયા
અનિલ કુંબલેએ કહ્યું કે, "મને નથી લાગતું કે એવું કહેવું ખોટું હશે કે આપણા બધાના યોગદાનથી કર્ણાટક ક્રિકેટ બન્યું છે, જેમ કર્ણાટક ક્રિકેટે આપણા બધાને બનાવ્યા છે. ખરેખર કોનું નામ કયા સ્ટેન્ડ પર છે તે મહત્ત્વનું નથી. ખરેખર ખાસ વાત એ છે કે, આપણા બધાના યોગદાનને માન્યતા આપવામાં આવી છે અને હવે તે સ્ટેડિયમમાં કાયમી માટે માર્ક થઈ ગયું છે."
શાંતા રંગાસ્વામીને મળ્યું સન્માન
કુંબલે એ વાતથી પણ ખુશ છે કે, દ્રવિડ અને મહિલા નેશલન ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીના નામ પરથી સ્ટેન્ડ્સ બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, "એ બહુ સારું છે કે, મારા ક્રિકેટ સાથી રાહુલ દ્રવિડ અને શાંતા રંગાસ્વામીને પણ કર્ણાટક અને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન માટે ઓળખ મળી છે. તેઓને શુભેચ્છા. આપણા ઘણા મહાન ખેલાડીઓના નામ પર સ્ટેન્ડ્સનું નામકરણ જોવાનું ખૂબ જ અદ્ભુત છે. જેમાંથી કેટલાક સાથે મને રમવાની તક મળી હતી અને કેટલાક જેમણે KSCA ખાતે આપણા માટે એક ઉદાહરણ બેસાડ્યું હતું."
રંગાસ્વામીના ક્રિકેટ કરિયર પર એક નજર
રંગાસ્વામી ટેસ્ટ સેન્ચ્યુરી કરનારી પહેલી ભારતીય મહિલા છે અને તેઓએ દેશમાં મહિલા ક્રિકેટના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે. વર્ષ 1976 અને 1991 વચ્ચે 16 ટેસ્ટ અને 19 મહિલા વનડે મેચમાં રંગાસ્વામીએ 1,037 રન કર્યા છે. જેમાં સેન્ચ્યુરી અને સાત ફિફ્ટીનો સમાવેશ થાય છે. ગત ઓક્ટોબરમાં તેમને ઈન્ડિયન ક્રિકેટર્સ એસોશિએશન(ICA)ના પ્રેસિડેન્ટ તરીકે પસંદ કરાયા હતા.

