ICC એ સૂર્યકુમાર યાદવને મેચ ફીના 30 ટકા ફટકાર્યો દંડ, BCCI નિર્ણયને પડકારશે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને મેચ ફીના 30 ટકા દંડ ફટકાર્યો છે. ભારત-પાકિસ્તાન મેચમાં થયેલા વિવાદો બાદ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે કરેલી ફરિયાદ પર ICC એ આ કાર્યવાહી કરી છે. જો કે ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણયને પડકારશે.
નોંધનીય છે કે એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચમાં અનેક વિવાદો થયા હતા. પાકિસ્તાની ખેલાડીઓએ ભારતના ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કર્યો. આટલું જ નહીં ગન સેલિબ્રેશન કર્યું તથા આપત્તિજનક ઈશારા પણ કર્યા હતા. બીજી તરફ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ બાદ પહલગામ હુમલાના પીડિતોને યાદ કર્યા. પાકિસ્તાનને આ મુદ્દે વાંધો હતો. PCBની ફરિયાદ હતી કે સૂર્યકુમાર યાદવનું નિવેદન રાજકારણથી પ્રેરિત હતું.
આટલું જ નહીં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવતાં પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે વાંધો ઉઠાવ્યો હતો. જોકે BCCIએ જવાબ આપ્યો હતો કે ક્રિકેટમાં એવો કોઈ સત્તાવાર નિયમ નથી કે બે ટીમને ખેલાડીઓએ હાથ મિલાવવા જ પડે.
પાકિસ્તાનના બે ખેલાડીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી
એશિયા કપ ફાઈનલમાં ફરી ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવવાની છે. જોકે હજુ સુધી ગત મેચને લઈને વિવાદ ચાલી રહ્યા છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સામે પક્ષે પાકિસ્તાનના ખેલાડીઓ વિરુદ્ધ પણ ફરિયાદો કરાઈ હતી. પરિણામે પાકિસ્તાનના બે ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. મીડિયા અહેવાલ અનુસાર ICCએ પાકિસ્તાની ખેલાડી હારિસ રઉફ પર મેચ ફીસના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે સાહિબજાદા ફરહાનને ફટકાર લગાવવામાં આવી છે, જોકે કોઈ દંડ ફટકારવામાં આવ્યો નથી. નોંધનીય છે કે સાહિબજાદા ફરહાને મેદાન પર ગન સેલિબ્રેશન કર્યું હતું જ્યારે હારિસ રઉફે આપત્તિજનક ઈશારા કર્યા હતા.
ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે હારિસ રઉફ અને સાહિબજાદા ફરહાન વિરુદ્ધ ICC માં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ શુક્રવારે મેચ રેફરી રિચિ રિચર્ડસન સમક્ષ સુનાવણી કરવામાં આવી. સુનાવણી બાદ રઉફને દંડ ફટકારવામાં આવ્યો જ્યારે સાહિબજાદાને ચેતવણી આપી છોડવામાં આવ્યો. રેફરી સમક્ષ પોતાની સ્પષ્ટતામાં રઉફે કહ્યું હતું કે મેં ઈશારો ભારતને ખિજવવા નહોતો કર્યો. જ્યારે સાહિબજાદાનું કહેવું હતું કે ગન સેલિબ્રેશન રાજકારણથી પ્રેરિત નહોતું. આટલું જ નહીં સાહિબજાદાએ તો ભારતના ધોની અને કોહલીનું પણ નામ લીધું અને દાવો કર્યો કે આ બે ખેલાડીઓ પણ મેચમાં આવી ઉજવણી કરી ચૂક્યા છે.

