રાજકીય નિવેદનોથી દૂર રહેવા ICC ની સૂર્યકુમારને સલાહ, રઉફ-સાહિબઝાદા વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની સુનાવણી દરમિયાન કોઈપણ રાજકીય નિવેદનો આપવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને ગુરુવારે ICC મેચ રેફરી રિચી રિચાર્ડસન દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની સુનાવણી દરમિયાન કોઈપણ રાજકીય નિવેદનો આપવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારતીય કેપ્ટન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેની સુનાવણી કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન અને હરિસ રૌફ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર શુક્રવારે સુનાવણી થશે.
PCB એ સૂર્યકુમારના નિવેદન સામે ઉઠાવ્યો હતો વાંધો
PCB એ 14 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પછી ફરિયાદ દાખલ કરી હતી. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો અને ભારતીય ટીમની જીત ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી જેમણે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું.
મેચ પછી સૂર્યકુમારે કહ્યું, "હું કંઈક કહેવા માંગુ છું, અને આ યોગ્ય સમય છે. અમે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે ઉભા છીએ અને તેમની સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. હું (પાકિસ્તાન સામે) આ વિજય આપણા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરું છું. જેમણે બહાદુરી બતાવી છે. મને આશા છે કે તેઓ આપણને પ્રેરણા આપતા રહેશે અને જ્યારે પણ અમને તેમને આનંદિત કરવાનો મોકો મળશે ત્યારે તેમના ચહેરા પર સ્મિત લાવીશું.
BCCI એ રઉફ-સાહિબઝાદાની ઉશ્કેરણીજનક હરકતો સામે ઉઠાવ્યો વાંધો
ભારતે એશિયા કપ સુપર 4 મેચ દરમિયાન ઉશ્કેરણીજનક હરકતો કરવા બદલ પાકિસ્તાની ક્રિકેટરો હરિસ રઉફ અને સાહિબઝાદા ફરહાન વિરુદ્ધ ICC માં ફરિયાદ નોંધાવી છે. ICC આ મામલાની સુનાવણી શુક્રવારે કરશે.

