"આપણા મગજને વિચારો વિના..." નતાશા સાથે ડિવોર્સ અને કેપ્ટનશિપ ગુમાવ્યા બાદ હાર્દિક પંડ્યાની પહેલી પ્રતિક્રિયા સામે આવી

શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દેવાયું છે. ટીમની કેપ્ટનશિપ સૂર્યકુમારને સોપવામાં આવી છે. જ્યારે રોહિત શર્મા ODIમાં કેપ્ટન્સી સંભાળશે.ચોંકાવનારી વાત તો એ છે કે આ બંને સિરીઝ માટે શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે. આમ તો T20ની કેપ્ટન્સીની રેસમાં સૌથી આગળ હાર્દિક પંડ્યાનું નામ હતું પણ આ મામલે સૂર્યકુમાર આગળ નીકળી ગયો. 18 જુલાઈની તારીખ હાર્દિક માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ. આ દિવસે જ હાર્દિકે નતાશા સ્ટેનકોવિક સાથે છુટાછેડાનું એલાન કર્યું. હવે આ મામલે હાર્દિક પંડ્યાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે જે ચર્ચામાં છે.
હાર્દિકે તમામ લાગણીઓ છુપાવવાનો કર્યો પ્રયાસ
હાર્દિક પંડ્યા હાલના સમયે મેદાનની અંદર અને બહાર ઘણા પડકારોનો સામનો કરી રહ્યો હોવા છતાં, તે પોતાની ચિંતા સારી રીતે છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તાજેતરની ઘટનાઓને કારણે તે ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ પોતાની 'સ્પોર્ટ્સ એપેરલ બ્રાન્ડ'ના લોન્ચિંગ પ્રસંગે હાર્દિકે તેની તમામ લાગણીઓ છુપાવતા ફિટનેસ પર લાંબી વાત કરી.
શરીર થાકે છે તો આપણું મગજ પણ થાકી જાય છે
હાર્દિક પંડ્યાએ કહ્યું કે, "જ્યારે આપણું શરીર થાકે છે તો આપણું મગજ પણ થાકી જાય છે. ક્યારેક ક્યારેક આપણા મગજને વિચારો વિના રાખવું મહત્ત્વપૂર્ણ હોય છે. જ્યારે મારા ટ્રેનર મને 10 પુશઅપ કરવા કહે છે તો હું હંમેશા 15 કરું છું. તેનાથી જ મારો રૂટિન સ્ટેમિના વધ્યો છે અને મને લાગે છે કે દરેક વ્યક્તિ જે ફિટનેસ યાત્રા શરૂ કરવા માગે છે તેણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જ જોઈએ."

