ગુજરાત જાયન્ટ્સે પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝનમાં નવી જર્સી લૉન્ચ કરી, કેપ્ટનની પણ જાહેરાત

અદાણી સ્પોર્ટ્સલાઈનની ગુજરાત જાયન્ટ્સે પ્રો-કબડ્ડી લીગ (PKL)ની 12મી સિઝનની તૈયારીઓને નવો ઉત્સાહ આપતા અમદાવાદમાં નવી જર્સી લોન્ચ કરી હતી. આ પ્રસંગે ટીમે સ્ટાર ખેલાડી મોહમ્મદરેઝા શાદલૂને આગામી સિઝન માટે કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. ગુજરાત જાયન્ટ્સ 30 ઓગસ્ટે વાઈજેગના રાજીવ ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં યુ મુમ્બા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. 29 ઓગસ્ટથી શરૂ થતી આ સિઝનમાં ટીમ 18 લીગ મેચો રમશે.
ગુજરાત જાયન્ટ્સે પ્રો-કબડ્ડીની નવી સિઝનમાં શાદલૂને બનાવ્યો કેપ્ટન
ઈરાનના પાવરહાઉસ ખેલાડી મોહમ્મદરેઝા શાદલૂને આ વર્ષની હરાજીમાં ગુજરાત જાયન્ટ્સે 2.23 કરોડ રૂપિયાની રેકોર્ડ બીડ સાથે ટીમમાં સામેલ કર્યો હતો. બે વખતના પ્રો-કબડ્ડી લીગ ચેમ્પિયન, ગત સિઝનના મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર (MVP) અને શ્રેષ્ઠ ડિફેન્ડર રહેલા શાદલૂ ટીમમાં શાનદાર ડિફેન્સિવ ક્ષમતા અને નેતૃત્વનો સમન્વય લાવશે.
ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટન બનવા પર શાદલૂએ કહ્યું કે,"લીગની 12મી સિઝનમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન્સી કરવાની તક મેળવી ગર્વ અનુભવી રહ્યો છું. અમારી ટીમના મોટાભાગના ખેલાડીઓ 20થી ઓછા કે તે સમાન વયના છે. અમારી પાસે યુવા, ઊર્જાથી ભરપૂર અને ગતિશીલ યુનિટ છે. અમે આગામી સિઝનમાં રમવા ઉત્સુક છીએ. હું અદાણી સ્પોર્ટ્સલાઈન અને ટીમના બંને કોચનો આભારી છું કે- તેમણે મારી પ્રત્યે વિશ્વાસ દાખવતા આ જવાબદારી સોંપી છે. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું."
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરાએ જણાવ્યું, "ગુજરાત જાયન્ટ્સ પાસેથી અમારી અપેક્ષા છે કે તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન આપે અને ગુજરાત તેમજ ભારતભરના ચાહકોને વૈશ્વિક સ્તરનો કબડ્ડી અનુભવ પ્રદાન કરે. અમે હંમેશા પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, અને આ યુવા ટીમ તેનું પ્રતિબિંબ છે. અમારા કોચના સફળ ટ્રેક રેકોર્ડ સાથે, અમે આ સિઝનમાં ઉચ્ચ સ્તરનું પ્રદર્શન કરવા તૈયાર છીએ."
જર્સી લોન્ચ અને કેપ્ટનની જાહેરાતની આ ઇવેન્ટમાં હેડ કોચ જયવીર શર્મા, આસિસ્ટન્ટ કોચ વરિન્દર સિંઘ સંધુ અને સંજય આદેશરા સહિત ટીમના અધિકારીઓ હાજર રહ્યા હતા.

