'કોહલી ટેસ્ટમાંથી નિવૃત્તિ પાછી ખેંચે', પૂર્વ ભારતીય ક્રિકેટરની અપીલ; BCCI આપ્યું રિએક્શન

ભારત લોર્ડ્સમાં હારી ગયું અને તે પણ ફક્ત 22 રનથી. આ હારથી ભારતીય ચાહકોની સાથે સાથે દિગ્ગજો પણ નિરાશ થયા છે. એવામાં 1983ના વર્લ્ડ કપ વિજેતા અને ઓલરાઉન્ડર મદનલાલે ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવા અપીલ કરી છે. મદનલાલ માને છે કે કોહલીનો જુસ્સો, ફિટનેસ અને નેતૃત્વ ક્ષમતા હજુ પણ ટીમ ઈન્ડિયા માટે અમૂલ્ય છે.
વિરાટને ટેસ્ટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવા અપીલ મદનલાલની અપીલ
એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલી વિષે વાત કરતા પૂર્વ દિગ્ગજ ખેલાડી મદનલાલ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે, 'ભારતીય ક્રિકેટ પ્રત્યે વિરાટ કોહલીનો જુસ્સો અજોડ હતો. મારી દિલથી ઈચ્છા છે કે તે નિવૃત્તિ પછી ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરે. વાપસી કરવામાં કંઈ ખોટું નથી. જો આ સિરીઝમાં નહીં, તો આગામી સિરીઝમાં, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવું જોઈએ. મારા મતે, તેણે નિવૃત્તિનો પોતાનો નિર્ણય બદલવો જોઈએ કારણ કે તે હજુ પણ એક કે બે વર્ષ સરળતાથી ભારત માટે રમી શકે છે. આ તમારા અનુભવને યુવાનો સુધી પહોંચાડવા વિશે છે. તું હમણાં જ ગયો છે. હજુ મોડું થયું નથી. કૃપા કરીને પાછો આવી જા.'
BCCI ઉપાધ્યક્ષે પણ કોહલીની નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે બધા રોહિત અને વિરાટ કોહલીની કમી અનુભવી રહ્યા છીએ. રોહિત શર્મા અને કોહલીએ જાતે જ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો. BCCIની નીતિ રહી છે કે અમે કોઈ ખેલાડીને સંન્યાસ લેવા માટે કહેતા નથી. અમે તેને સ્ટાર બેટ્સમેન માનતા રહ્યા છીએ.
કોહલીએ મે મહિનામાં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું
જણાવી દઈએ કે વિરાટ કોહલીએ બે મહિના પહેલા જ એટલે કે મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેમના નિર્ણય બાદ, ઘણા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ તેને નિવૃત્તિ પર પુનર્વિચાર કરવાની સલાહ આપી છે. બીસીસીઆઈએ પોતે કોહલીને નિવૃત્તિ ન લેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બન્યું નહીં.
લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ જસપ્રીત બુમરાહ અને પછી મોહમ્મદ સિરાજ સાથે અંત સુધી લડત આપી, તેમ છતાં ઇંગ્લેન્ડ જીતી ગયું. જાડેજાએ 181 બોલનો સામનો કર્યો અને 61 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. તેણે બુમરાહ-સિરાજ સાથે કુલ 212 બોલ રમ્યા. જાડેજા લાંબા સમય સુધી ઇંગ્લેન્ડ વચ્ચે મજબૂત રીતે ઉભો રહ્યો. પરંતુ બીજા છેડેથી અન્ય બેટર્સનો સહયોગ ન મળવાને કારણે, જાડેજા ટીમ ઇન્ડિયાની હાર રોકી શક્યો નહીં. લોર્ડ્સમાં મળેલી જીત સાથે ઇંગ્લેન્ડે સિરીઝમાં 2-1ની લીડ પણ મેળવી લીધી છે.

