'મેં પ્રશંસા કરી પણ તે ગાળ સમજ્યો', જો રૂટ સાથે ઇંગ્લેન્ડમાં વિવાદને લઇને ભારતીય ખેલાડીનો ખુલાસો

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કરનારા ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ઓવલમાં રમાયેલી પાંચમી ટેસ્ટ દરમિયાન જો રૂટ સાથે મેદાન પર થયેલા વિવાદ અંગે ખુલાસો કર્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ કહ્યું કે, જો રૂટે આટલા ગુસ્સા સાથે પ્રતિક્રિયા કેમ આપી? મહત્ત્વપૂર્ણ છે કે ભારતે ઇંગ્લેન્ડમાં રમાયેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝને 2-2થી ડ્રો કરાવી હતી.
મેં તો પ્રશંસા કરી હતી પણ...
પ્રસિદ્ધ કૃષ્ણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને નથી ખબર કે, જો રૂટે આ પ્રકારની પ્રતિક્રિયા કેમ આપી. મેં તો માત્ર એટલું જ કહ્યું હતું કે તમે સારા લાગી રહ્યા છો. મેં પ્રશંસા કરી હતી પણ તેણે તેને ગાળ સમજી લીધી હતી. મેં ઘણા ખેલાડીઓ સાથે વાત કરી. જો રૂટ સાથે પણ વાત કરી હતી. મેં તેને પૂછ્યું કે શું થયું હતું તો તેણે કહ્યું કે મને લાગ્યું કે તે મને ગાળ આપી છે. મેં કહ્યું ના, મેં ગાળ નહોતી આપી. રૂટે કહ્યું કે, હું ખુદને પણ પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેથી વાત થોડી આગળ વધી ગઇ.
પ્રસિદ્ધ કૃષ્ણાએ આગળ કહ્યું કે, મને આ ખેલમાં આ જ સૌથી વધુ પસંદ છે. હું હંમેશાથી આ જ રીતે રમતો આવ્યો છું. દરેક ખેલાડીઓને અને ખાસ કરીને તેમના જેવા દિગ્ગજને આજે પણ પોતાનું બધું સમર્પણ કરીને અને ટીમ માટે સંઘર્ષ કરતા જોવું એ દરેક માટે શીખવા લાયક છે. તમે મેચ જીતવા માટે મેદાનમાં જાઓ છો. તેના માટે ક્યારેક-ક્યારેક તમને સ્કિલથી વધુની જરૂર પડે છે. તે સફરનો હિસ્સો બનવા માટે ખૂબ જ માનસિક દ્રઢતાની જરૂર હોય છે.
પ્રસિદ્ધ કૃષ્ણાએ 6 ટેસ્ટ મેચમાં 22 વિકેટ ઝડપી
આ 29 વર્ષીય પેશરે ઈંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટ મેચ રમી અને તેમાં કુલ 14 વિકેટ ખેરવી હતી જેમાં સિરીઝના પાંચમી ટેસ્ટમાં આઠ વિકેટ ઝડપીને ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેણે ભારત માટે 6 ટેસ્ટ મેચમાં 22 વિકેટ ઝડપી છે.

