Opreation Sindoor: 'જો કોઈ તમારા પર પથ્થર ફેંકે તો ફૂલ ફેંકો....', ક્રિકેટર સેહવાગનું નિવેદન વાયરલ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થઈ ગયા હતા. ભારતે આ હુમલાનો બદલો લીધો છે. ભારતની ત્રણેય સેનાઓએ મોટી કાર્યવાહી કરતાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાનો ખાતમો બોલાવી દીધો છે. ભારતીય સેનાએ 7 મેના રોજ મોડી રાત્રે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના ઠેકાણા પર એકસાથે અનેક હુમલા કર્યા હતા. આ હુમલામાં 90 આતંકવાદીઓનો સફાયો થઈ ગયો છે. હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે 'ઓપરેશન સિંદૂર' પર હૃદયસ્પર્શી પ્રતિક્રિયા આપી છે.
વિરેન્દ્ર સેહવાગે X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'જો કોઈ તમારા પર પથ્થર ફેંકે તો ફૂલ ફેંકો પણ કૂંડા સાથે. જય હિન્દ ઓપરેશન સિંદૂર, એકદમ યોગ્ય નામ.'
ક્રિકેટરોએ સેનાની બહાદૂરીના વખાણ કર્યા
સેનાની આ કાર્યવાહી બાદ દેશના ઘણા વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ સેનાને સલામી આપી છે અને 'જય હિન્દ'ના નારા લગાવ્યા છે. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, આકાશ ચોપરા અને પ્રજ્ઞાન ઓઝા, સુરેશ રૈનાએ સેનાના વખાણ કર્યા છે. બીજી તરફ ટીમ ઇન્ડિયા અને કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડી વરુણ ચક્રવર્તીએ પણ સોશિયલ મીડિયા પર 'ઓપરેશન સિંદૂર'ની એક તસવીર શેર કરી હતી, જેને સેના દ્વારા જાહેર કરવામાં આવી હતી.
વીરેન્દ્ર સેહવાગે 14 ટેસ્ટ મેચ, 251 વનડે અને 19 T20I મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 23 સદી અને 32 અડધી સદીની મદદથી 8586 રન બનાવ્યા છે. સહેવાગના નામે વન-ડેમાં 8,273 રન છે, જેમાં 15 સદી અને 38 અડધી સદી સામેલ છે. સહેવાગે T20 ઇન્ટરનેશનલમાં 394 રન બનાવ્યા હતા.

