યુઝવેન્દ્ર ચહલ- ધનશ્રી વર્માનો સંબંધ થયો પૂરો, કોર્ટે મંજૂર કર્યા છૂટાછેડા

લગભગ અઢી વર્ષ સુધી એકબીજાથી અલગ રહ્યા બાદ ભારતીય સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ છૂટાછેડા લીધા છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના છૂટાછેડાની અફવાઓ ચાલી રહી હતી, ત્યારબાદ બંનેએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. હવે ગુરુવાર, 20 માર્ચે ફેમિલી કોર્ટે બંનેની છૂટાછેડાની અપીલ મંજૂર કરી દીધી છે. આ સાથે તેમનું લગ્નજીવન 4 વર્ષ અને લગભગ 3 મહિના પછી સમાપ્ત થયું. હાર્દિક પંડ્યા બાદ વધુ એક ક્રિકેટરના છૂટાછેડા થયા છે.
ગુરુવારે, 20 માર્ચના રોજ, મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે છૂટાછેડા પર પોતાનો અંતિમ ચુકાદો આપ્યો. આ સુનાવણી માટે ચહલ અને ધનશ્રી અલગ-અલગ પહોંચ્યા હતા. ચહલ તેના વકીલો સાથે બ્લેકજેકેટ અને માસ્ક પહેરીને પહોંચ્યો. અને થોડી વાર પછી ધનશ્રી સફેદ ટી-શર્ટ પહેરીને આવી. તેણે પણ ચહેરા પર માસ્ક લગાવ્યું હતું. આ સમયે બંનેની પ્રતિક્રિયા જાણવા માટે મીડિયાની ભીડ એકઠી થઈ ગઈ પરંતુ કોઈએ કોઈ જવાબ આપ્યો નહીં.
4.75 કરોડ રૂપિયા ધનશ્રીને મળશે...
ચહલ અને ધનશ્રીએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે. આ બંને વચ્ચે પ્રથમ વાતચીત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. ચહલ અને ધનશ્રી સોશિયલ મીડિયા દ્વારા મિત્રો બન્યા અને પછી લગ્ન કરી લીધા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. રિપોર્ટ્સનું માનીએ તો ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા ચુકવવા પડશે. તેમાંથી તેણે 2.37 કરોડ રૂપિયા આપી દીધા છે.

