ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટમાં લખ્યું, "ભારતીય જર્સી પહેરવી, રાષ્ટ્રગીત ગાવું અને દર વખતે મેદાન પર પગ મૂકતી વખતે મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવો, આ બાબતોનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. પરંતુ જેમ તેઓ કહે છે, દરેક સારી વસ્તુનો અંત આવવો જ જોઈએ. મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે."
પુજારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, "રાજકોટના નાના શહેરના એક નાના છોકરા તરીકે, મારા માતા-પિતા સાથે, મેં સ્ટાર્સ માટે લક્ષ્ય રાખ્યું હતું અને ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવાનું સ્વપ્ન જોયું હતું. ત્યારે મને ખ્યાલ નહતો કે આ રમત મને આટલું બધું આપશે. અમૂલ્ય તકો, અનુભવ, હેતુ, પ્રેમ, અને સૌથી વધુ મારા રાજ્ય અને આ મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાની તક."
BCCI અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો આભાર માન્યો
પુજારાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, "મારી ક્રિકેટ કારકિર્દી દરમિયાન મને મળેલી તક અને સમર્થન માટે હું BCCI અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો આભાર માનું છું. હું આટલા વર્ષો સુધી જે ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે તે બધી ટીમો, ફ્રેન્ચાઈઝીઓ અને કાઉન્ટી ટીમોનો પણ આભારી છું. મારા કોચ અને આધ્યાત્મિક ગુરુના અમૂલ્ય માર્ગદર્શન વિના હું અહીં પહોંચી ન શક્યો હોત, હું હંમેશા તેમનો ઋણી રહીશ."
ફેન્સનો આભાર માન્યો
ચેતેશ્વર પુજારાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, "રમતના કારણે હું દુનિયાભરમાં પહોંચ્યો અને આ સમય દરમિયાન ફેન્સનો ઉત્સાહી સપોર્ટ અને ઉર્જા હંમેશા મારી સાથે રહ્યા છે. હું જ્યાં પણ રમ્યો છું, મને ઘણો સ્પોર્ટ્સ મળ્યો છે અને હું હંમેશા તેના માટે આભારી રહીશ."
પુજારાએ પોતાની પોસ્ટમાં પરિવારનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેના યોગદાનથી તેની યાત્રા અર્થપૂર્ણ બની. તેણે લખ્યું, "મારા પરિવાર, મારા માતા-પિતા, પત્ની પૂજા અને પુત્રી અદિતિ, મારા સાસરિયાં અને મારા પરિવારના બાકીના સભ્યોના બલિદાન અને સમર્થનથી મારી યાત્રા અર્થપૂર્ણ બની. હું આગળના પગલાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું."
ચેતેશ્વર પુજારાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
37 વર્ષીય પુજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 103 ટેસ્ટ અને 5 ODI રમી છે. પુજારાએ 103 ટેસ્ટની 176 ઈનિંગ્સમાં 7195 રન બનાવ્યા, જેમાં 19 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. પુજારાની ટેસ્ટ સફર શાનદાર રહી, જોકે તે લાંબા સમય સુધી ટીમમાં સ્થાન બનાવી નહતો શક્યો.

