ઓસ્ટ્રેલિયા સામેની ત્રણેય વનડે મેચમાં ટોસ હાર્યો કેપ્ટન શુભમન ગિલ, તો અશ્વિને આપી આ સલાહ

એવું લાગે છે કે ભારતીય ODI ટીમના નસીબમાં ટોસ જીતવો લખાયો નથી. કેમ કે, કેપ્ટન તો બદલાયો પણ ટોસ હારવાનું હજી યથાવત છે. 25 ઓક્ટોબરે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની ODI મેચમાં, ટીમ ઈન્ડિયા સતત 18મી વખત ટોસ હારી ગઈ હતી. શુભમન ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી ODI સિરીઝ રમ્યો, પરંતુ તે ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝમાં ત્રણેય મેચના ટોસ હારી ગયો હતો. આને લઈ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ગિલને એક સલાહ આપી છે.
એક પ્રખ્યાત રમત પત્રકાર સાથેની ચર્ચામાં, રવિચંદ્રન અશ્વિને કહ્યું હતુ કે, "શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સિરીઝમાં ત્રણેય ટોસ હારી ગયો હતો. આ ભારતીય ODI ટીમ સતત 18મી વખત ટોસ હારી ગઈ છે. ભાઈ, આટલા ટોસ કોણ હારે છે? ખરેખર, તેને નેટ પ્રેક્ટિસ નહીં, તેણે ટોસ પ્રેક્ટિસ કરવી જોઈએ."
ટીમ ઈન્ડિયાએ છેલ્લે ટોસ ક્યારે જીત્યો હતો?
ભારતીય ટીમે છેલ્લે 2023માં ODI મેચમાં ટોસ જીત્યો હતો. તે 2023 ODI વર્લ્ડ કપની સેમિફાઇનલ હતી, જેમાં રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે ટોસ જીત્યો હતો. ત્યારથી લગભગ બે વર્ષ વીતી ગયા છે, પરંતુ ભારતીય કેપ્ટનો દ્વારા ટોસ હારવાનો સિલસિલો ચાલુ છે. સિડની ODIમાં, ભારત સતત 18મી વખત ટોસ હારી ગયું, જોકે, ટીમ ઈન્ડિયાએ 9 વિકેટથી મેચ જીતી હતી. રોહિત શર્માના અણનમ 121 અને વિરાટ કોહલીના અણનમ 74 રનની મદદથી ટીમ ઈન્ડિયાને વિજય મળ્યો.
ટોસ જીતવામાં ગિલનું નસીબ ખરાબ
ટોસ જીતવામાં શુભમન ગિલનો કેપ્ટન તરીકે વિજય ટકાવારી શૂન્ય રહ્યો છે. ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહેલીવાર ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટેસ્ટ સિરીઝ તો 2-2થી બરાબર રહી હતી, પરંતુ ગિલ પાંચેય મેચમાં ટોસ હારી ગયો હતો. હવે, કેપ્ટન તરીકે તેની પહેલી ODI સિરીઝમાં પણ તે ત્રણેય ટોસ હારી ગયો હતો.

