બુમરાહની એન્ટ્રી, હાર્દિક પંડ્યા બહાર! અફઘાનિસ્તાન સામે T20 જંગ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 13 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે રમાનારી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. તો બીજી તરફ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટ ન હોવાના કારણે આ ટીમનો હિસ્સો નથી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીમાં ત્રણ મેચની T20 શ્રેણી રમાશે, જેની યજમાની અફઘાનિસ્તાન કરશે.
ઈજાગ્રસ્ત ખેલાડીઓની વાપસીથી ટીમ ઈન્ડિયાને મોટી રાહત
સારી વાત એ છે કે ઘણા ઈજાગ્રસ્ત ખેલાડીઓ ફિટ થઈ ગયા છે, અને આ શ્રેણીથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે. જેમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી, સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, સીમ ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સામેલ છે.
અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણી માટે ભારતીય સ્ક્વોડ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા.

ટીમ ઈન્ડિયામાં 4 ઓલરાઉન્ડર અને પ્રમુખ બોલરોને સ્થાન
અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરના રૂપમાં ચાર ઓલરાઉન્ડર છે. આ સિવાય વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈ બે મુખ્ય સ્પિનર છે. ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા સાથે જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. જ્યારે 15 સભ્યોની ટીમમાં 6 સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન છે.
યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર પસંદગીકારોનો ભરોસો યથાવત
માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર ટીમ મેનેજમેન્ટનો ભરોસો કાયમ છે. તેમને વધુ એક વખત T20 સ્કવૉડમાં સામેલ કરવામાં આવ્યા છે. અભિષેક શર્મા સાથે વૈભવ ટીમના અગ્રણી યુવા બેટિંગ વિકલ્પોમાં સામેલ છે.
ઝિમ્બાબ્વે પ્રવાસની સરખામણીએ 8 ખેલાડીઓને ટીમમાંથી બહાર કરાયા
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમ સાથે સરખામણી કરીએ તો આ વખતે 8 ખેલાડીઓને સ્થાન મળ્યું નથી. રિન્કુ સિંહ, સૂર્યાંશ શેટગે, હર્ષ દુબે, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ સામેલ છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20 મેચ 13 સપ્ટેમ્બરે રમાશે. આ પછી બીજી T20 મેચ 15 સપ્ટેમ્બરે અને ત્રીજી તથા અંતિમ T20 મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. ત્રણેય મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
13 સપ્ટેમ્બર - પ્રથમ T20 - અરુણ જેટલી સ્ટેડિયમ
15 સપ્ટેમ્બર - બીજી T20 - અરુણ જેટલી સ્ટેડિયમ
17 સપ્ટેમ્બર - ત્રીજી T20 - અરુણ જેટલી સ્ટેડિયમ

