'મારા ભવિષ્યનો નિર્ણય BCCI કરશે', દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં કારમી હાર બાદ મુખ્ય હેચ કોચ ગૌતમ ગંભીર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ગુવાહાટી ટેસ્ટ દરમિયાન સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરને હટાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે. જોકે, હેડ કોચ ગૌતમ ગંભીરે જવાબ આપતા કહ્યું કે, તેના ભવિષ્ય પર નિર્ણય BCCI કરશે. મહત્ત્વપૂર્ણ છે કે ગુવાહાટી ટેસ્ટમાં ભારતનો દક્ષિણ આફ્રિકા સામે 408 રને પરાજય થયો છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 0-2થી વ્હાઇટવોશનો સામનો કરવો પડ્યો અને 25 વર્ષ બાદ ઘરમાંજ પ્રોટિયાજ ટીમ સામે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મારા ભવિષ્યનો નિર્ણય BCCI કરશે-ગંભીર
આફ્રિકન ટીમ સામે હાર બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર નિરાશ જોવા મળ્યા હતા. ગંભીરે કહ્યું કે, આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં વ્હાઇટવોશ બાદ તેના ભવિષ્યનો નિર્ણય BCCI કરશે.જોકે,તેમણે એમ પણ યાદ અપાવ્યું કે તેમના કાર્યકાળમાં ટીમે કેટલીક સફળતા પણ મેળવી છે.
ગંભીરે ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ કહ્યું- મારા ભવિષ્યનો નિર્ણય BCCI કરશે પરંતુ હું તે વ્યક્તિ છું જેને તમને ઇંગ્લેન્ડમાં રિઝલ્ટ આપ્યું અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી. ગંભીર આ વર્ષે ઇંગ્લેન્ડમાં 2-2ની ડ્રો સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફીનો ઉલ્લેખ કરતો હતો.
ગંભીરે કહ્યું, જવાબદારી બધાની છે અને શરૂઆત મારાથી થાય છે. આપણે સારૂ રમવું પડશે, 95/1થી 122/7 થવું સ્વીકાર્ય નથી, તમે કોઇ ખેલાડીને દોષ ના આપી શકો,ના કોઇ શોટને, ભૂલ બધાની છે. મે ક્યારેય કોઇને વ્યક્તિગત રીતે દોષ નથી આપ્યો અને આગળ પણ નહીં આપુ.
ગંભીરના કાર્યકાળમાં ભારતે 18માંથી 10 ટેસ્ટ મેચ ગુમાવી છે જેમાં ઘરમાં ન્યૂઝીલેન્ડ અને હવે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બે વખત વ્હાઇટવોશ સામેલ છે. ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા સામે મળેલી હાર ભારતની ટેસ્ટમાં સૌથી મોટી રનથી હાર છે. તાજેતરમાં ગંભીર ટીમમાં બદલાવ કરવા અને ટેસ્ટ ક્રિકેટમાં સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓની જગ્યાએ વધારે ઓલરાઉન્ડર્સ પર ભાર આપવાને લઇને ટિકાનો સામનો કરી રહ્યો છે.

