શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ પહેલા BCCIનું ટેન્શન વધ્યું, ટીમ ઈન્ડિયાનો વધુ એક દિગ્ગજ ખેલાડી ઈજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિટનેસ ચિંતાનું એક નવું કારણ બની ગયું છે. T20, વનડે હોય કે ટેસ્ટ ટીમ, અનેક ખેલાડીઓ વારંવાર ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. તેવામાં ટેસ્ટ સીરિઝ પહેલાં વધુ એક ધુરંધર ખેલાડી ઈજાગ્રસ્ત થતાં BCCIનું ફરી ટેન્શન વધ્યું છે.
BCCIનું ફરી ટેન્શન વધ્યું!
શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલાં કેપ્ટન શુભમન ગિલને પણ ઈજા થઈ છે. રિપોર્ટ મુજબ, કોલંબોમાં વોર્મ-અપ મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ગિલના અંગૂઠા પર બે વાર બોલ વાગ્યો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયા મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
બીજી વખત એક જ અંગૂઠામાં ઈજા
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝ 15 ઓગસ્ટથી શરૂ થવાની છે. જેમાં પહેલી મેચ ગૉલમાં રમાશે. જો કે, તે મેચ પહેલા ટીમ ઈન્ડિયા 7થી 9 ઓગસ્ટ વચ્ચે એક વોર્મ-અપ મેચ પણ રમવાની છે. ટીમ આ મેચ માટે કોલંબોના NCC ગ્રાઉન્ડ પર સતત પ્રેક્ટિસ કરી રહી છે. જેમાં 6 ઓગસ્ટે પ્રેક્ટિસ સત્ર દરમિયાન ભારતીય કેપ્ટનને બેટિંગ કરતી વખતે જમણા હાથના અંગૂઠામાં ઈજા પહોંચી હતી.
ઈજા બાદ ટીમના મેડિકલ સ્ટાફે તાત્કાલિક ગિલની સારવાર કરી અને તેના અંગૂઠા પર પાટો બાંધ્યો હતો. ત્યારબાદ ગિલે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. જો કે, બેટિંગ પ્રેક્ટિસ પછી જ્યારે તે અન્ય ખેલાડીઓ સાથે સ્લિપ કેચિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે ફરીથી ઈજાગ્રસ્ત અંગૂઠા પર બોલ વાગ્યો હતો. જેમાં ગિલને ગંભીર ઈજા પહોંચી હતી. મેડિકલ ટીમે ફરીથી ગિલની ઈજા તપાસી હતી. આ પછી ગિલે બાકીની પ્રેક્ટિસમાં ભાગ લીધો નહોતો.
શું ગિલ પ્રેક્ટિસ મેચમાં ભાગ લઈ શકશે?
શુભમન ગિલની ઈજા કેટલી ગંભીર છે તેને લઈને હાલ કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ તેના કારણે ટીમ ઈન્ડિયા ચોક્કસ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગઈ છે. પહેલી ટેસ્ટ મેચને હજુ એક અઠવાડિયું બાકી છે, પરંતુ પ્રેક્ટિસ મેચ 24 કલાકથી ઓછા સમયમાં 7 જુલાઈના રોજ શરૂ થવાની છે. આમ, ગિલ આ મેચમાં ભાગ લઈ શકશે કે નહીં તે એક મોટો સવાલ બની ગયો છે.

