IPL દરમિયાન BCCIનો મોટો નિર્ણય, Team Indiaના સપોર્ટ સ્ટાફમાંથી 3 લોકોને કર્યા બહાર

BCCI એ આખરે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફમાં ઘટાડો કર્યો છે. સૂત્રોના હવાલેથી એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડે ગંભીરના ત્રણ સપોર્ટ સ્ટાફને કાઢી મૂક્યા છે. જોકે, પહેલાથી જ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે BCCI કેટલાક સપોર્ટ સ્ટાફને દૂર કરી શકે છે. આ કાર્યવાહીને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન અને ડ્રેસિંગ રૂમની વાતો લીક થવા સાથે જોડવામાં આવી રહી છે.
સપોર્ટ સ્ટાફમાંથી કોને કાઢી મૂકવામાં આવ્યા?
એક અહેવાલ મુજબ, BCCI એ આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને બરતરફ કર્યા છે. તે 8 મહિના પહેલા જ ટીમ ઈન્ડિયા (Team India) ના કોચિંગ વિભાગમાં જોડાયો હતો. આ ઉપરાંત ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને ટ્રેનર સોહમ દેસાઈને પણ બહાર કરવામાં આવ્યા છે. બંને છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયા (Team India) સાથે જોડાયેલા હતા. તેમના સ્થાને ટૂંક સમયમાં નિમણૂકો કરવામાં આવી શકે છે.
સપોર્ટ સ્ટાફ સામે કરવામાં આવેલી કાર્યવાહી માટે ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા (Team India) ના ખરાબ પ્રદર્શન અને તાજેતરના ન્યુઝ લીકને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા (Team India) નું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું અને તેને 3-1થી હારનો સામનો કરવો પડ્યો. સારું અને ખરાબ પ્રદર્શન રમતનો એક ભાગ છે. BCCI એ ભલે તેના પર કોઈ કાર્યવાહી ન કરી હોય, પરંતુ તે સિરીઝ પછી જે રીતે ડ્રેસિંગ રૂમની વાતો એક પછી એક બહાર આવવા લાગી, તેનાથી બોર્ડ નારાજ હતું.
ડ્રેસિંગ રૂમની વાતો બહાર આવી
એવા અહેવાલો હતા કે કેટલાક ખેલાડીઓ ટીમના વચગાળાના કેપ્ટન બનવા માંગતા હતા. એવા પણ અહેવાલો હતા કે કોચ ગૌતમ ગંભીરે ન્યુઝ લીક માટે સરફરાઝ ખાનને જવાબદાર ઠેરવ્યો છે. જોકે, ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર નથી તેવી અટકળો વચ્ચે, ગૌતમ ગંભીરે પાછળથી એમ કહીને આ મુદ્દાને શાંત કરવાનો પ્રયાસ કર્યો કે ન્યુઝ લીક થવાની અફવાઓ ફક્ત અહેવાલો છે, સત્ય નથી.

