હાર પચાવી ન શકતા પાકિસ્તાનની વધુ એક હરકત, હવે આ ભારતીય ખેલાડી વિરુદ્ધ કરી ICC ને ફરિયાદ

એશિયા કપ-2025ની ટુર્નામેન્ટમાં અવાર-નવાર વિવાદોમાં રહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ફરી નવો ડ્રામા શરૂ કરી દીધો છે. પીસીબીએ હવે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે.
PCBએ અર્શદીપ પર શું આરોપ મુક્યો ?
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, પીસીબીએ આક્ષેપ કર્યો છે કે, એશિયા કપ-2025ની સુપર-4માં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં અર્શદીપે દર્શકો તરફ આપત્તિજનક ઈશારા કરીને ICC ની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. PCBએ દાવો કર્યો છે કે, અર્શદીપનું વર્તન અનૈતિક હતું અને તેનાથી રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
PCB એ અગાઉ સૂર્યકુમાર સામે ફરિયાદ કરી હતી
આ પહેલા એશિયા કપમાં ભારત-પાકિસ્તાની મેચો દરમિયાન પીસીબીએ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર સામે ફરિયાદ કરી હતી. સૂર્યકુમાર યાદવે મેચ બાદ પહલગામ હુમલાના પીડિતોને યાદ કર્યા હતા અને ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા, જેને લઈને પીસીબીને વાંધો પડ્યો હતો. સુનાવણી બાદ ICC એ સૂર્યને મેચ ફી ના 30 ટકા દંડ ફટકાર્યો હતો.
BCCIએ રઉફ-ફરહાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે હારિસ રઉફ અને સાહિબજાદા ફરહાન વિરુદ્ધ ICC માં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ શુક્રવારે મેચ રેફરી રિચિ રિચર્ડસન સમક્ષ સુનાવણી કરવામાં આવી. સુનાવણી બાદ રઉફને મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે સાહિબજાદાને ચેતવણી આપી છોડવામાં આવ્યો.
રેફરી સમક્ષ પોતાની સ્પષ્ટતામાં રઉફે કહ્યું હતું કે 6-0 નો ઈશારો મેં ભારતને ખિજવવા નહોતો કર્યો. જ્યારે સાહિબજાદાનું કહેવું હતું કે ગન સેલિબ્રેશન રાજકારણથી પ્રેરિત નહોતું. આટલું જ નહીં સાહિબજાદાએ તો ભારતના ધોની અને કોહલીનું પણ નામ લીધું અને દાવો કર્યો કે આ બે ખેલાડીઓ પણ મેચમાં આવી ઉજવણી કરી ચૂક્યા છે.

