'પાકિસ્તાન સાથે કોઇ ક્રિકેટ નહીં રમાય', PAKના હુમલા બાદ ક્રિકેટરોના મોત પર એક્શનમાં અફઘાનિસ્તાન બોર્ડ

પાકિસ્તાનના હુમલામાં અફઘાનિસ્તાનના 3 ક્રિકેટરોના મોત થયા છે. આ ઘટના પક્તિકા પ્રાંતના ઉરગુન જિલ્લામાં બની હતી જ્યા પાકિસ્તાની હુમલામાં અફઘાન ક્રિકેટર કબીર, સિગબતુલ્લાહ અને હારૂન સહિત 10 લોકોના મોત થયા છે જ્યારે સાત અન્ય ઘાયલ થયા છે. આ આખા ઘટનાક્રમ બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એક્શનમાં આવ્યું છે.
અફઘાનિસ્તાન પાકિસ્તાન-શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણી નહીં રમે
ACBએ પાકિસ્તાનની સૈન્ય કાર્યવાહીમાં પક્તિકા પ્રાંતમાં ઘરેલુ ક્રિકેટ ખેલાડીઓની શહીદી બાદ પાકિસ્તાન અને શ્રીલંકા સાથે આગામી ત્રિકોણીય સિરીઝમાં ભાગ ના લેવાનો નિર્ણય કર્યો છે.
ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની શહીદી પર શોક વ્યક્ત કરતા તેને દેશ અને રમત જગત, ખાસ કરીને ક્રિકેટ માટે મોટું નુકસાન ગણાવ્યું છે. આ ત્રિકોણીય ટી-20 સિરીઝ આવતા મહિને નવેમ્બરમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાવાની હતી.
મહત્ત્વપૂર્ણ છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે.બન્ને દેશો વચ્ચે શુક્રવારે 48 કલાકના યુદ્ધવિરામની સહમતિ બની હતી પરંતુ તેના ગણતરીના કલાકો બાદ જ તાલિબાને પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં એરસ્ટ્રાઇક કરવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાને ડૂરંડ લાઇન પાસે આવેલા પક્તિકા પ્રાંતના કેટલાક જિલ્લામાં એરસ્ટ્રાઇક કરી હતી.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ એક પોસ્ટ શેર કરતા લખ્યુ કે કબીર, સિબગતુલ્લા અને હારૂન ક્રિકેટર્સ સહિત આ હુમલામાં 10 લોકોના મોત થયા છે જ્યારે સાત ઘાયલ થયા છે. જે ક્રિકેટર્સના મોત થયા છે તે પક્તિકાના પાટનગર શરાનામાં એક ફ્રેન્ડલી મેચ રમવા માટે ગયા હતા. ઘરે પરત ફર્યા બાદ ઉરગુન જિલ્લામાં એક જનસભા દરમિયાન તેમના પર હુમલો થયો હતો. ACBએ પોતાના નિવેદનમાં કહ્યું- અલ્લાહ શહીદોને જન્નતમાં ઉંચો દરજ્જો આપે અને ઘાયલોને જલદી સ્વસ્થ કરે અને તેમના પરિવારને આ કઠિન સમયમાં સબ્ર અને તાકાત આપે.

