3 મેચ જ્યારે ચેતેશ્વર પુજારાએ બેટથી બચાવ્યું હતું ટીમ ઈન્ડિયાનું સન્માન, રમી હતી યાદગાર ઈનિંગ્સ

ચેતેશ્વર પુજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પુજારાએ 2010માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને તે પછી તે ટેસ્ટમાં ભારતીય બેટિંગ ઓર્ડરનો મહત્ત્વપૂર્ણ ભાગ બન્યો હતો. ચેતેશ્વર છેલ્લા 2 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો અને હવે તેણે પોતાની કારકિર્દીનો અંત લાવી દીધો છે. પુજારાએ પોતાની ઐતિહાસિક ટેસ્ટ કારકિર્દીમાં બેટથી ઘણી યાદગાર ઈનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયાનું સન્માન બચાવ્યું છે. ચાલો તે 3 મેચની વાત કરીએ જ્યારે ચેતેશ્વરે ટીમ ઈન્ડિયાને હારથી બચવવા માટે યાદગાર ઈનિંગ્સ રમી હતી.
સિડનીમાં ટીમ ઈન્ડિયાનું સન્માન બચાવ્યું
2021 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 1-1થી બરાબર હતી. ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા સામે 407 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જો ભારતે મેચ ડ્રો કરવી હોય તો તેને 131 ઓવર બેટિંગ કરવાની જરૂર હતી. આ મેચમાં પુજારાએ પોતાના કરિયરની સૌથી યાદગાર ઈનિંગ રમી હતી. તેણે 205 બોલમાં 77 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડના બાઉન્સરનો સામનો કર્યો. તે શારીરિક પીડામાં પણ જોવા મળ્યો પણ તેણે હાર ન માની. તેને હનુમા વિહારીનો સપોર્ટ મળ્યો. તેના આધારે ટીમ ઈન્ડિયાએ 97 ઓવર સુધી બેટિંગ કરી અને મેચ ડ્રો કરી. ટીમ ઈન્ડિયા હારથી બચી ગઈ.
કોલંબોમાં બેટ ચાલ્યું
2015માં ભારત શ્રીલંકા સાથે સિરીઝમાં 1-1થી બરાબર હતું. જો ભારતે સિરીઝ કબજે કરવી હોય તો છેલ્લી મેચમાં જીત જરૂરી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી અને આ દરમિયાન ચેતેશ્વર પુજારાએ શાનદાર બેટિંગ કરી હતી. ઈનિંગ દરમિયાન તેને કોઈપણ ટોપ ઓર્ડર બેટ્સમેનનો સપોર્ટ નહતો મળ્યો. અમિત મિશ્રાએ 59 રન બનાવ્યા હતા. પુજારા ઓપનિંગ કરવા આવ્યો અને 289 બોલમાં અણનમ 145 રન બનાવ્યા હતા. શ્રીલંકાના બોલર્સ તેને આઉટ પણ નહતા કરી શક્યા. આ ઈનિંગના આધારે ટીમે 312 રન બનાવ્યા. પૂજારાના પ્રદર્શનથી ટીમમાં આત્મવિશ્વાસ આવ્યો અને ભારત 117 રનથી જીત્યું હતું.
2018માં ઓસ્ટ્રેલિયા સામે કમાલ કરી
2018 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી એડિલેડમાં શરૂ થઈ હતી. પહેલી મેચમાં ચેતેશ્વર પુજારાએ 246 બોલમાં શાનદાર 123 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન 40નો આંકડો પણ પાર નહતો કરી શક્યો. ટીમ ઈન્ડિયાએ એક સમયે 19 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પુજારાની ઈનિંગના આધારે ટીમે 250 રન બનાવ્યા. પુજારાએ બીજી ઈનિંગમાં પણ 71 રન બનાવ્યા હતા. આ ઈનિંગના આધારે ભારત 31 રનથી જીત્યું હતું. પુજારાએ ટીમને સિરીઝમાં લીડ અપાવી અને ભારતને આખરે આનો ફાયદો મળ્યો. ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતી લીધી. આ ઈનિંગે તેને આધુનિક સમયમાં ટીમ ઈન્ડિયાનો 'ધ વોલ' બનાવ્યો.

