શ્રાવણ મહિનામાં શા માટે કરવામાં આવે છે કાંવડયાત્રા? જાણો શું છે તેનું મહત્ત્વ

દેશમાં વિવિધ વિસ્તારોમાં ધર્મ બાબતે અલગ- અલગ પ્રથાઓ જોવા મળે છે. શ્રાવણ મહિનો બેસતાની સાથે જ ભગવાન શિવની પૂજા કરવા માટે તમામ શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ એકઠી થઈ જાય છે. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં કાંવડયાત્રાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અને તેમાં પણ શ્રાવણ મહિનામાં કાંવડયાત્રાનું ખાસ મહત્ત્વ છે. કાંવડયાત્રા દરમિયાન શિવ ભક્તો ગંગા નદીમાંથી પાણી લઈ જાય છે અને તેઓ ભગવાન શિવ પર અભિષેક કરે છે.
શ્રાવણ મહિનામાં જે પણ ભક્તો ભગવાન શિવને જળાભિષેક કરે છે. ભગવાન શિવ તેમની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં કાંવડયાત્રાનું શું મહત્વ છે? તેના વિશે આજે સ્થાનિક પુરોહિત શું કહે છે તે જાણીએ.
શું કહે છે દેવઘરના પુજારી
કાંવડયાત્રા વિશે દેવઘરના પૂજારીએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પછી આ વર્ષે આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે. સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે અને સોમવારના રોજ જ શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થઈ રહી છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં કાંવડયાત્રા કરીને ગંગાજળ લઈ જઈ ભગવાન શિવ પર જળાભિષેક કરવાથી ભક્તોના મોટામાં મોટા પાપો દૂર થાય છે. દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. તેમજ શ્રાવણ મહિનામાં સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને ભગવાન શિવે પોતાના ગળામાં ઉતાર્યું હતું. જેના કારણે તેમનું શરીર તપવા લાગ્યું. તે પછી દરેક દેવતાઓએ ગંગામાંથી પાણી એકઠું કરીને ભગવાન શિવને અર્પણ કરવા લાગ્યા, તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા હતા.
સૌપ્રથમ કાંવડયાત્રા કોણે કરી હતી?
એવું માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં સૌથી પહેલી કાંવડયાત્રા શિવના મહાન ભક્ત ભગવાન પરશુરામ દ્વારા શરૂ કરવામાં આવી હતી. સંતો તેમજ ઋષિ- મુનિઓના આશિર્વાદથી કાંવડયાત્રાનો પ્રારંભ થયો હતો. શ્રાવણ મહિનામાં જે પણ ભક્ત કાંવડયાત્રા કરીને ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.
ભગવાન રામે સૌપ્રથમ દેવઘરમાં કાંવડયાત્રા કરી હતી
કેટલીક લોકપ્રિય ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મર્યાદા પુરૂષોત્તમ રામે બિહાર રાજ્યના સુલતાનગંજના પોતાની કાંવડમાં ગંગા જળ ભરીને બાબા ધામના શિવલિંગ પર જલાભિષેક કર્યો હતો. અહીંથી કાંવડયાત્રાનો પ્રારંભ થયો હોવાનું કહેવામાં આવે છે.

