Vastu Tips / ઘરમાં દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો આ નિયમો, પરિવારમાં રહેશે સુખ-સમૃદ્ધિ

ઘરે નિયમિતપણે દીવો પ્રગટાવવો એ માત્ર ભગવાનની આરાધના કરવાનો માર્ગ નથી, પરંતુ તે સદીઓ જૂની ભારતીય પરંપરાનો અભિન્ન ભાગ છે. કોઈપણ તહેવાર કે શુભ પ્રસંગે દીવો પ્રગટાવવાથી ઘર અને આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ પવિત્ર કાર્યથી દૈવી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વાસ્તુ દોષથી બચવા અને પૂજાનું પૂર્ણ ફળ મેળવવા માટે યોગ્ય સમયે અને યોગ્ય દિશામાં દીવો મૂકવો અત્યંત મહત્વપૂર્ણ છે.
દીવો પ્રગટાવવા માટેની યોગ્ય દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણો) સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ દિશા દૈવી જ્ઞાન અને આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર છે, જે જળ તત્વ અને ભગવાન શિવ સાથે સંકળાયેલી છે. જો ઘરનું મંદિર ઉત્તર-પૂર્વમાં હોય તો તે ઉત્તમ છે અને ત્યાં દરરોજ સવારે-સાંજે દીવો કરવો જોઈએ. જો પૂજા સ્થળ અન્ય દિશામાં હોય, તો પણ દીવો હંમેશા ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને મૂકવો શ્રેષ્ઠ રહે છે. આ દિશામાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે.
દીવાની જ્યોત કઈ દિશામાં રાખવી?
સવારની પૂજા: સવારે દીવો પ્રગટાવતી વખતે જ્યોત પૂર્વ દિશા તરફ રાખવી, કારણ કે પૂર્વ સૂર્યોદય અને ઉર્જાની દિશા છે.
સાંજની પૂજા: સાંજે દીવાની જ્યોત ઉત્તર દિશા તરફ રાખવી હિતાવહ છે. ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની માનવામાં આવે છે, જેથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ વધે છે.
આ દિશામાં ભૂલથી પણ દીવો ન મૂકવો
કોઈપણ દેવપૂજા કે માંગલિક કાર્ય દરમિયાન દીવો ક્યારેય દક્ષિણ દિશામાં ન મૂકવો જોઈએ. દક્ષિણ દિશા યમરાજ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે. આ દિશામાં માત્ર પિતૃ તર્પણ કે વિશેષ પિતૃકાર્ય વખતે જ દીવો પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત, દીવાને ક્યારેય સીધો જમીન પર ન રાખતાં ચોખા, પાન અથવા કોઈ સ્ટેન્ડ-પ્લેટફોર્મ પર જ આસન આપીને સ્થાપિત કરવો જોઈએ.
દીવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય
સવારે: બ્રહ્મ મુહૂર્ત (સવારે ૪ થી ૬ વાગ્યા વચ્ચે) દીવો પ્રગટાવવો સર્વશ્રેષ્ઠ ફળદાયી છે.
સાંજે: સંધ્યાકાળે (ગોધૂલિ વેળાએ) ઘરના મુખ્ય દ્વાર અને પૂજા ઘરમાં દીવો કરવો શુભ માનવામાં આવે છે.
શુભ તહેવારો: નવરાત્રી, દિવાળી, અમાસ કે પૂનમ જેવા પર્વો પર વિશેષ દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. જો નવરાત્રીમાં અખંડ જ્યોત સ્થાપિત કરી હોય તો તેને નવ દિવસ સુધી સતત પ્રજ્વલિત રાખવી જરૂરી છે.
નિયમિત પૂજા દરમિયાન વાસ્તુના આ સરળ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.

