Religion: મહામૃત્યુંજય મંત્રનો મહિમા; અકાળ મૃત્યુને પણ ટાળતો દિવ્ય મંત્ર અને ઋષિ માર્કંડેયની અમર કથા

હિન્દુ ધર્મમાં મંત્રોનું વિશેષ મહત્વ છે. વિવિધ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ મંત્રોનું વર્ણન શાસ્ત્રોમાં મળે છે, જેમાં સૌથી શક્તિશાળી મંત્રોમાં ‘મહામૃત્યુંજય મંત્ર’ અગ્રણી છે.
આ મંત્ર દેવાધિદેવ મહાદેવ સાથે સંબંધિત છે. એવી માન્યતા છે કે જો પૂર્ણ શ્રદ્ધા અને સાચા ઉચ્ચારણ સાથે આ મંત્રનો જાપ કરવામાં આવે, તો તેના પ્રભાવથી ગંભીર રોગ, સંકટ અને અકાળ મૃત્યુમાંથી પણ મુક્તિ મળે છે.
મહામૃત્યુંજય મંત્ર
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥
-
અર્થ: અમે ત્રિનેત્રધારી (ત્રણ નેત્રોવાળા) ભગવાન શિવની આરાધના કરીએ છીએ, જે સુગંધિત છે અને સમગ્ર સૃષ્ટિનું પોષણ કરે છે. જેમ પાકેલું ટેટી કે કાકડી વેલાના બંધનમાંથી આપોઆપ મુક્ત થઈ જાય છે, તેમ અમે પણ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ અમરત્વ (મોક્ષ) પ્રાપ્ત કરીએ.
મંત્ર જાપના નિયમો
-
પવિત્રતા: સ્નાન કરીને શુદ્ધ અને પવિત્ર અવસ્થામાં જ આ મંત્રનો જાપ કરવો.
-
સ્થાન અને દિશા: ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગ સામે બેસીને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને જાપ કરવો શુભ માનવામાં આવે છે.
-
માળાની પસંદગી: મંત્ર જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો ઉત્તમ છે. જો જાતે સંકલ્પપૂર્વક જાપ ન થઈ શકે, તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવી શકાય છે.
-
એકાગ્રતા અને ઉચ્ચારણ: જાપ કરતી વખતે મનને શાંત રાખવું અને મંત્રના પ્રત્યેક શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કરવું અત્યંત જરૂરી છે.
કોણ હતા મહર્ષિ માર્કંડેય?
પૌરાણિક કથા અનુસાર, મૃકંડુ નામના ઋષિ નિઃસંતાન હતા. તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું. ભોલેનાથે પ્રસન્ન થઈને તેમને અલ્પાયુ પણ ગુણવાન પુત્રનું વરદાન આપતા કહ્યું કે, ‘તમારા પુત્રનું આયુષ્ય માત્ર ૧૨ વર્ષનું રહેશે.’
ઋષિ મૃકંડુના ઘરે પુત્રનો જન્મ થયો અને તેનું નામ ‘માર્કંડેય’ રાખવામાં આવ્યું. જ્યારે માર્કંડેય મોટા થયા, ત્યારે પિતાએ તેમના અલ્પાયુ હોવાનું સત્ય જણાવ્યું. આ સાંભળીને બાળક માર્કંડેયે નિરાશ થયા વિના ભગવાન શિવની અનન્ય ભક્તિ શરૂ કરી દીધી અને મહામૃત્યુંજય મંત્રની રચના કરી તેનો અવિરત જાપ શરૂ કર્યો.
જ્યારે તેમના આયુષ્યના ૧૨ વર્ષ પૂર્ણ થયા અને યમરાજ તેમનો પ્રાણ લેવા આવ્યા, ત્યારે બાળક માર્કંડેય શિવલિંગને વળગી પડ્યા. યમરાજે જેવો ફાંસો નાખ્યો, કે તુરંત જ શિવલિંગમાંથી ભગવાન શિવ ક્રોધિત રૂપે પ્રગટ થયા. મહાદેવે યમરાજને રોકીને બાળક માર્કંડેયની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને અમરત્વનું વરદાન આપ્યું. આ રીતે મહામૃત્યુંજય મંત્રના પ્રભાવથી ઋષિ માર્કંડેય ચિરંજીવી બન્યા.

