Religion / કુંભકર્ણના પુત્ર ભીમાસુરનો વધ કરી મહાદેવ કેમ બન્યા 'ભીમાશંકર'? જાણો પૌરાણિક કથા

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. દેશભરમાં આવેલા ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગો પૈકીનું એક એટલે મહારાષ્ટ્રમાં સહ્યાદ્રિ પર્વતમાળામાં અને ભીમા નદીના તટ પર આવેલું ભીમાશંકર જ્યોતિર્લિંગ. ગાઢ જંગલો અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બિરાજમાન આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી ભક્તોના તમામ પાપ નષ્ટ થઈ જાય છે તેવી ધાર્મિક માન્યતા છે.
રાવણના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો ભીમાસુર
શિવપુરાણ અનુસાર, રાક્ષસ ભીમાસુર એ રાવણના ભાઈ કુંભકર્ણનો અત્યંત બળશાળી અને ક્રૂર પુત્ર હતો. તે પોતાના પ્રચંડ બળના અભિમાનમાં ત્રિલોકમાં આતંક મચાવતો હતો અને ઋષિ-મુનિઓ તેમજ દેવતાઓને ત્રાસ આપતો હતો. એક વખત ભીમાસુરે કામરૂપ દેશના રાજા અને ભગવાન શિવના પરમ ભક્ત સુદક્ષિણ તથા તેમની ધર્મપત્ની વિરાણીને બંદી બનાવી જેલમાં પૂરી દીધા.
જેલમાં પણ અવિરત રહી શિવ આરાધના
કેદમાં હોવા છતાં રાજા સુદક્ષિણ અને તેમના પત્નીએ મહાદેવની ભક્તિ કરવાનું છોડ્યું નહીં. તેઓ પાર્થિવ શિવલિંગ બનાવીને દિવસ-રાત ઓમ નમઃ શિવાયના જાપ સાથે પૂજા કરવા લાગ્યા. જ્યારે ભીમાસુરને જાણ થઈ કે તેના કેદીઓ પોતાના બદલે શિવજીની પૂજા કરે છે, ત્યારે તે અહંકાર અને ક્રોધમાં જેલ પહોંચ્યો. તેણે સુદક્ષિણને પૂછ્યું કે, "આ જગતમાં મારાથી મોટો કોઈ શક્તિશાળી નથી, તો પછી તમે કોની પૂજા કરી રહ્યા છો?" સુદક્ષિણે નીડરતાથી કહ્યું કે, "અમે સમગ્ર સૃષ્ટિના પાલનહાર અને રક્ષક ભગવાન શિવની આરાધના કરીએ છીએ."
મહાદેવે ત્રિશૂળથી કર્યો ભીમાસુરનો વધ
સુદક્ષિણનો જવાબ સાંભળી ક્રોધિત થયેલા ભીમાસુરે જેવું પોતાની તલવારથી શિવલિંગ તોડવાનો પ્રયાસ કર્યો, કે તરત જ તેમાંથી દિવ્ય તેજપુંજ પ્રગટ થયો. સ્વયં ભગવાન શંકર ત્રિશૂળધારી સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન શિવ અને ભીમાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું, જેમાં મહાદેવે પોતાના ત્રિશૂળથી અહંકારી ભીમાસુરનો સંહાર કર્યો.
કેવી રીતે નામ પડ્યું 'ભીમાશંકર'?
ભક્ત સુદક્ષિણ અને વિરાણીની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને વરદાન માંગવા કહ્યું. ભક્તોએ પ્રાર્થના કરી કે, "હે પ્રભુ! આપ લોકકલ્યાણ અર્થે સદા માટે અહીં જ નિવાસ કરો." ભગવાન શિવે તેમની પ્રાર્થના સ્વીકારી અને જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં સ્થિર થયા. ભીમાસુરનો વધ કરીને પ્રગટ થયા હોવાથી આ પવિત્ર ધામ 'ભીમાશંકર જ્યોતિર્લિંગ' તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ બન્યું.

