Religion: જાણો વાસુકી નાગ જ્યાં શરણ લે છે તે 'કુક્કે સુબ્રમણ્યમ મંદિર'નો અદ્ભુત ઈતિહાસ, અહી પ્રસાદમાં મળે છે રાફડાની માટી

દક્ષિણ ભારતમાં ઘણા પ્રખ્યાત અને અનોખા મંદિરો આવેલા છે. આ મંદિરોનો ઇતિહાસ અને રહસ્ય આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે. આજે આપણે એવા જ એક અનોખા મંદિર 'કુક્કે સુબ્રમણ્યમ મંદિર' વિશે જાણીશું, જેની સાથે એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે.
ભગવાન શિવના ગળામાં હંમેશા જોવા મળતા વાસુકી નાગ કુક્કે સુબ્રમણ્યમ મંદિરમાં મુખ્ય દેવતાના ચરણોમાં બિરાજે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના આદેશથી જ વાસુકી નાગ અહીં તેમના ચરણોમાં સ્થાન પામ્યા છે.
હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની સાથે તેમના વાહનોની પણ એટલી જ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. પરંતુ જ્યારે બે દેવતાઓના વાહનો વચ્ચે પરંપરાગત વૈર કે દુશ્મનાવટ હોય, ત્યારે તેનું નિવારણ કેવી રીતે થાય? દક્ષિણ ભારતનું કુક્કે સુબ્રમણ્યમ મંદિર આ વાતનો ઉત્તમ પુરાવો છે. વાસ્તવમાં, ભગવાન શિવના પ્રિય વાસુકી નાગ અને ભગવાન વિષ્ણુના વાહન ગરુડજી વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવવા માટે ભગવાન શિવે આદેશ આપ્યો હતો. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેય (સુબ્રમણ્યમ) એ વાસુકી નાગને પોતાની પાસે આશ્રય આપ્યો હતો. આ જ કારણે આજે પણ વાસુકી નાગ અહીં ભગવાન કાર્તિકેયના ચરણોમાં બિરાજમાન છે.
આ સ્થાન નાગદોષની નકારાત્મકતા દૂર કરે છે
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં આવેલું કુક્કે સુબ્રમણ્યમ મંદિર આ પૌરાણિક કથાને જીવંત કરે છે. અહીં મુખ્ય દેવ તરીકે ભગવાન કાર્તિકેયની પૂજા થાય છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન કાર્તિકેયની ભવ્ય પ્રતિમા છે અને એવી માન્યતા છે કે વાસુકી નાગ સહિત અન્ય સર્પ પ્રજાતિઓ આજે પણ તેમના ચરણોમાં આશ્રય મેળવે છે. મંદિરના પ્રાંગણમાં એક ચાંદીનો સ્તંભ સ્થાપિત છે, જેના પર ગરુડજીની પ્રતિમા કંડારેલી છે. એવું માનવામાં આવે છે કે આ સ્તંભ સર્પદંશ કે નાગદોષની નકારાત્મક અસરોને શાંત કરે છે.
૭ મોક્ષ સ્થળોમાંથી એક
આ પવિત્ર સ્થાનને ભગવાન પરશુરામ દ્વારા ઉલ્લેખિત સાત મોક્ષ સ્થળોમાંથી એક માનવામાં આવે છે. અહીં સદીઓથી નાગપૂજાની પરંપરા છે. એવી દ્રઢ માન્યતા છે કે વાસુકી સુબ્રમણ્યના આશીર્વાદથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં પૂજા-અર્ચના કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, ચામડીના રોગોથી મુક્તિ મળે છે અને કાલસર્પ કે નાગદોષ (સર્પ શાપ) માંથી રાહત મળે છે. આ ક્ષેત્ર 'ગુપ્ત ક્ષેત્ર' તરીકે પણ ઓળખાય છે.
રાફડાની માટી ભક્તોને પ્રસાદ તરીકે અપાય છે
આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ભક્તોને પ્રસાદ તરીકે રાફડાની (કીડી-મકોડાના ઘરની) પવિત્ર માટી આપવામાં આવે છે, જેને સ્થાનિક ભાષામાં 'પુટ્ટા મન્નુ' કહેવામાં આવે છે. ખાસ કરીને ચંપા ષષ્ઠી ઉત્સવ દરમિયાન આ માટી પ્રસાદ તરીકે વહેંચાય છે. મંદિરમાં બિરાજમાન દેવતાઓને હળદર અને ચંદનનો લેપ લગાવીને શાંત રાખવાની પરંપરા છે. આ ઉપરાંત ભક્તો અહીં ભગવાનને રાંધેલો ભાત, ગોળ અને કેળાનો ભોગ ચઢાવે છે.
નદીમાં સ્નાન કરવાથી રોગો મટે છે
મંદિરની નજીકથી ભગવાન કાર્તિકેયના નામ પરથી 'કુમારધારા' નદી વહે છે. આ નદીના પાણીમાં ઔષધીય ગુણો હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં દર્શન કરતા પહેલા ભક્તો આ નદીમાં સ્નાન કરે છે. એવી માન્યતા છે કે કુમારધારા નદીમાં સ્નાન કરવાથી ત્વચાને લગતા તમામ રોગો મટી જાય છે.

