અક્ષય તૃતીયાના પવિત્ર પર્વે કરો આ વિશેષ વિધિ, ઘરમાં થશે સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ

સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું અત્યંત વિશેષ મહત્વ રહેલું છે. હિન્દુ કેલેન્ડર મુજબ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે ચોઘડિયા કે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી.
આ વર્ષે 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે કરવામાં આવેલા દાન, જપ અને પૂજાનું ફળ ‘અક્ષય’ (જેનો ક્યારેય ક્ષય ન થાય તેવું) હોય છે. આથી જ તેની તુલના દિવાળી જેવા મુખ્ય તહેવારો સાથે કરવામાં આવે છે.
અક્ષય તૃતીયાનો દિવસ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામના જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને અખંડ સંપત્તિનો વાસ થાય છે. આ દિવસે કરવામાં આવેલું કોઈપણ સત્કર્મ જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો આર્થિક મુશ્કેલીઓ દૂર કરવી હોય તો અક્ષય તૃતીયા પર આ વિધિ કરી શકાય છે
પોટલીનો ઉપાય: સાત ગોમતી ચક્ર, સાત પીળી કોડી, હળદરનો ગઠ્ઠો અને એક સિક્કાને પીળા કપડામાં બાંધવો. આ પોટલીને પૂજાના સ્થાને રાખી ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો. પૂજા બાદ આ પોટલીને તિજોરીમાં રાખવાથી નાણાકીય અવરોધો દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા વરસે છે.
માટીનું વાસણ ખરીદવાનું મહત્વ
સોનું ખરીદવાની પરંપરા તો પ્રચલિત છે જ, પરંતુ આ દિવસે માટીનું વાસણ (ઘડો) ખરીદવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, સાવરણીની ખરીદી કરવી પણ ફળદાયી છે. માન્યતા છે કે કોઈ મંદિરમાં સાવરણીની જોડીનું ગુપ્ત દાન કરવાથી આખું વર્ષ ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.
અક્ષય તૃતીયા એ માત્ર આર્થિક લાભનો ઉત્સવ નથી, પરંતુ તે સંયમ, દાન અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ પવિત્ર દિવસે નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવેલું દાન અને ભક્તિ વ્યક્તિના જીવનમાં કાયમી સુખ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે

