કામિકા એકાદશીએ સાંજે ઘરના આ 5 સ્થાનો પર પ્રગટાવો દીવો, મળશે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીના આશીર્વાદ

હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું વિશેષ મહત્વ છે. તેવી જ રીતે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશીને પણ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે તથા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
એકાદશીની સાંજે પૂજા-અર્ચના કરવાની સાથે સાથે ઘરના કેટલાક વિશેષ સ્થાનો પર દીવા પ્રગટાવવાનું ખૂબ જ મહત્વ છે. આમ કરવાથી શ્રીહરિ વિષ્ણુ અને માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ કે એકાદશીની સાંજે કયા ૫ સ્થાનો પર દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ:
ઘરનો મુખ્ય દરવાજો
એકાદશીની સાંજે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર (ઉંબરા) પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ ગણાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મુખ્ય દરવાજાથી જ ઘરમાં ઉર્જા અને દેવી-દેવતાઓનો પ્રવેશ થાય છે. શ્રાવણ એકાદશીની સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને ઘરમાં દેવી લક્ષ્મીજીનું આગમન થાય છે.
તુલસીનો ક્યારો
હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તુલસીજી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. એકાદશીની સાંજે તુલસીના ક્યારા પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી તેમની પરિક્રમા કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ઘરનું મંદિર
શ્રાવણ એકાદશીના દિવસે ઘરના પૂજા ઘરમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ કે છબી સામે ઘીનો દીવો પ્રગટાવો. શક્ય હોય તો આ દીવો લાંબા સમય સુધી પ્રજ્વલિત રહે તેવી વ્યવસ્થા કરો. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે અને માનસિક શાંતિ મળે છે.
ઈશાન ખૂણો (પૂર્વ-ઉત્તર ખૂણો)
વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણાને દેવતાઓનું સ્થાન ગણવામાં આવ્યું છે. એકાદશીની સાંજે ઘરના ઈશાન ખૂણામાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને પરિવારના સભ્યો માટે પ્રગતિના નવા માર્ગો ખૂલે છે.
પીપળો કે શમીનો છોડ:
જો ઘરની નજીક પીપળો કે શમીનું ઝાડ હોય, તો એકાદશીની સાંજે ત્યાં દીવો અવશ્ય પ્રગટાવવો. પીપળાના વૃક્ષમાં ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ)નો વાસ માનવામાં આવે છે. શ્રાવણ માસમાં અહીં દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શિવ અને શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે, જેનાથી ગ્રહદોષ શાંત થાય છે.

