Religion: "નઝર બટ્ટુ": કોણ છે? જે દરેક ઘરને ખરાબ નજરથી બચાવે છે!

આપણે બધાએ સમયાંતરે ઘરની દિવાલો પર આવા નઝરબટ્ટુ જોયા હશે, જે રાક્ષસ જેવો દેખાય છે, જેની જીભ ગોળ છે, માથા પર બે શિંગડા છે અને કાન લાંબા છે, જે ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપે છે.
પરંતું, શું તમે ક્યારેય વિચાર્યું છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેની પાછળની પૌરાણિક કથા શું છે? આ બધા પ્રશ્નો પરથી પડદો દૂર કરવા માટે, આજે અમે તમને નઝરબટ્ટુ વિશે રસપ્રદ માહિતી આપીશું.
નઝરબટ્ટુ સંબંધિત લોકવાયકા
પૌરાણિક કથાઓ અનુસાર, ઘણા સમય પહેલા જલંધર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો. જલંધરે ભગવાન શિવને યુદ્ધ માટે પડકાર કર્યો હતો. કારણ કે, તે પાર્વતીજીને ઇચ્છતો હતો. માતા પાર્વતીને મેળવવા અને શિવજીને યુદ્ધ માટે પડકારવા માટે, જલંધરે તેના દૂત રાહુને કૈલાશ પર્વત પર મોકલ્યો.
રાહુના શબ્દો સાંભળીને, શિવજી એટલા ગુસ્સે થયા કે તેમના ક્રોધથી એક નવા પ્રાણીનો જન્મ થયો. શિવના ક્રોધથી જન્મેલો આ પ્રાણી ન તો માનવ હતો કે ન તો રાક્ષસ. તે બધું ખાવા માંગતો હતો. તે ભયંકર પ્રાણીએ શિવને પૂછ્યું, મારે કોને ખાવું જોઈએ? શિવે જવાબ આપ્યો કે, "તું તારી જાતને ખા". શિવના આદેશ પર, પ્રાણીએ તેનું આખું શરીર ખાઈ લીધું. શરીર ખાધા પછી, તેણે ફરીથી શિવને પૂછ્યું, હવે મારે શું ખાવું જોઈએ? શિવ પ્રાણીના શબ્દોથી એટલા ખુશ થયા કે તેમણે આ પ્રાણીનું નામ કીર્તિમુખ રાખ્યું.
કીર્તિમુખ, સમૃદ્ધિનું પ્રતીક
કીર્તિમુખ સમૃદ્ધિનું પ્રતીક છે. શિવે કીર્તિમુખને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે, "તું બધાના લોભ, કપટ અને ખોટી લાગણીઓ મારા સુધી પહોંચે તે પહેલાં જ ખાઈ જઈશ."
એટલા માટે આપણે મોટાભાગના મંદિરો અને ઘરોમાં કીર્તિમુખની આકૃતિ જોઈએ છીએ. જ્યાં પણ કીર્તિમુખની છબી સ્થાપિત થાય છે, ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. કીર્તિમુખની આ લોકકથા એટલી લોકપ્રિય થઈ કે ધીમે ધીમે તેણે નજરબટ્ટુનું સ્વરૂપ લીધું.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

