Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : How did Bajrangbali become the most powerful warrior in the universe?

બજરંગબલી કેવી રીતે બન્યા બ્રહ્માંડના સૌથી શક્તિશાળી યોદ્ધા? જાણો આ પૌરાણિક કથા

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
બજરંગબલી કેવી રીતે બન્યા બ્રહ્માંડના સૌથી શક્તિશાળી યોદ્ધા? જાણો આ પૌરાણિક કથા
સોર્સ : gstv

હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનજીને કલિયુગના જીવંત દેવતા માનવામાં આવે છે. તેઓ બળ, બુદ્ધિ અને વિદ્યાના સાગર છે. પરંતુ આ બધામાં એક બાબત વિશે સૌથી વધુ લખાયું છે અને તે છે તેમનું વજ્ર જેવું મજબૂત શરીર, જેના પર રાવણના પુત્ર મેઘનાદ દ્વારા ચલાવવામાં આવેલું અચૂક બ્રહ્માસ્ત્ર પણ બેઅસર સાબિત થયું હતું. આની પાછળ વાલ્મિકી રામાયણમાં એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા જણાવવામાં આવી છે. આવો જાણીએ કે આખરે કયા દેવતાના એક વરદાને બાળ હનુમાનને બ્રહ્માંડના સૌથી શક્તિશાળી યોદ્ધા બનાવી દીધા હતા.

App Store

બાળપણમાં સૂર્યને ફળ સમજીને ગળી જવા દોડ્યા હતા હનુમાનજી

પૌરાણિક કથાઓ અનુસાર, બાળપણમાં હનુમાનજી ખૂબ જ ચંચળ હતા. એક દિવસ તેમણે આકાશમાં ઉગતા લાલ સૂર્યને જોયો અને તેને પાકેલું ફળ સમજી લીધું. એ ફળ મેળવવાની ઈચ્છા સાથે તેઓ આકાશમાં ઉડીને સૂર્ય તરફ આગળ વધ્યા. હનુમાનજીની આ અદભુત છલાંગ જોઈને દેવલોકમાં ખળભળાટ મચી ગયો. એ સમયે સૂર્યગ્રહણનો યોગ પણ હતો અને રાહુ સૂર્ય તરફ આગળ વધી રહ્યો હતો. હનુમાનજીને જોઈને રાહુ ગભરાઈ ગયો અને તેણે દેવરાજ ઇન્દ્રને આ અંગે ફરિયાદ કરી.

ઇન્દ્રના વજ્ર પ્રહારથી ઘાયલ થયા બાળ હનુમાન

રાહુની ફરિયાદ સાંભળીને ઇન્દ્રદેવ પોતાના ઐરાવત હાથી પર સવાર થઈને ત્યાં પહોંચ્યા. તેમણે જોયું કે એક બાળક સૂર્ય તરફ આગળ વધી રહ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઇન્દ્રએ પોતાના પરમ અસ્ત્ર 'વજ્ર'નો પ્રયોગ કર્યો. વજ્રનો આ પ્રહાર હનુમાનજીની હડપચી (દાઢી) પર લાગ્યો, જેનાથી તેઓ ઘાયલ થઈને પૃથ્વી પર પડી ગયા. પોતાના પુત્રને ઘાયલ થયેલો જોઈને પવનદેવ અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમણે સમગ્ર સંસારમાં વાયુ (હવા) નો પ્રવાહ રોકી દીધો.

પવનદેવના ક્રોધથી સમગ્ર સંસાર સંકટમાં મુકાયો

જ્યારે પવનદેવે વાયુનો સંચાર બંધ કરી દીધો, ત્યારે પૃથ્વી પરના તમામ જીવજંતુઓ અને દેવતાઓ સંકટમાં આવી ગયા. દરેક માટે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો અને આખા બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. ત્યારે તમામ દેવતાઓ પવનદેવને શાંત કરવા તેમની પાસે પહોંચ્યા. દેવતાઓએ હનુમાનજીને ફરીથી જીવિત કર્યા અને તેમને અનેક દિવ્ય વરદાન આપ્યા. આ વરદાનો જ આગળ જતાં તેમની અસીમ શક્તિઓનો સ્ત્રોત બન્યા.

બ્રહ્માજીએ આપ્યું અસ્ત્રોથી સુરક્ષાનું વરદાન

કથાઓ અનુસાર, બ્રહ્માજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા કે કોઈ પણ બ્રહ્માસ્ત્ર કે દિવ્ય અસ્ત્ર તેમને નુકસાન પહોંચાડી શકશે નહીં. જો ક્યારેય કોઈ અસ્ત્રની અસર તેમના પર થશે તો પણ તે માત્ર થોડા સમય માટે જ રહેશે. આ જ કારણે રામાયણમાં જ્યારે મેઘનાદે હનુમાનજી પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, ત્યારે પણ તે તેમને નષ્ટ ન કરી શક્યો. હનુમાનજીએ પોતે બ્રહ્માસ્ત્રના સન્માનમાં તેના પ્રભાવનો સ્વીકાર કરીને બંધન સ્વીકાર્યું હતું.

ઇન્દ્રદેવે આપ્યું વજ્ર સમાન શરીરનું વરદાન

પોતાની ભૂલ પર પસ્તાવો કરતા ઇન્દ્રદેવે હનુમાનજીને વરદાન આપ્યું કે ભવિષ્યમાં તેમનું શરીર વજ્ર જેવું કઠોર અને મજબૂત બની જશે. ત્યારબાદ કોઈ પણ અસ્ત્ર-શસ્ત્ર તેમને ઈજા પહોંચાડી શકશે નહીં. આ જ કારણ છે કે હનુમાનજીને 'વજ્રદેહ' અને 'બજરંગબલી' પણ કહેવામાં આવે છે. 'બજરંગ' શબ્દનો અર્થ જ 'વજ્ર જેવા મજબૂત અંગો ધરાવનાર' થાય છે. હનુમાનજીને માત્ર ઇન્દ્ર કે બ્રહ્માજી પાસેથી જ નહીં, પરંતુ અનેક દેવી-દેવતાઓ પાસેથી વિશેષ વરદાન મળ્યા હતા, જેણે તેમને અસાધારણ શક્તિઓના સ્વામી બનાવ્યા.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.