Religion: અક્ષય તૃતીયા 2026 / શુભ મુહૂર્ત, પરંપરાઓ અને માન્યતાઓ; જાણો આ દિવસે શું કરવું અને શું ટાળવું?

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને અત્યંત શુભ અને પુણ્યશાળી દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતા શુભ કાર્યો, દાન, જપ અને પૂજાનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી. તેથી જ તેનું નામ "અક્ષય" રાખવામાં આવ્યું છે, જેનો અર્થ છે જેનો ક્યારેય ક્ષય ન થાય (નાશ ન પામે).
વૈશાખ સુદ ત્રીજના દિવસે આવતો આ તહેવાર સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિનું પ્રતીક છે. આ દિવસે વણજોયું મુહૂર્ત હોવાથી લોકો કેલેન્ડર કે ચોઘડિયું જોયા વિના પણ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકે છે.
પરંતુ દર વર્ષે લોકોના મનમાં કેટલાક પ્રશ્નો ઉભા થાય છે, જેમ કે- વાળ ધોવા જોઈએ? ડુંગળી ખાવી જોઈએ? કે સોનું દાન કરવું જરૂરી છે? ચાલો આ પરંપરાઓને સ્પષ્ટ રીતે સમજીએ.
અક્ષય તૃતીયા પર શું કરવું જોઈએ?
આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને કુબેર ભંડારીની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ મંદિરમાં દીવો પ્રગટાવી પીળા કે સફેદ ફૂલો અર્પણ કરવા જોઈએ. આ દિવસે જવ, ચોખા, સત્તુ, કાકડી, જળ ભરેલા પાત્ર (ઘડા) અને મીઠાઈનું દાન કરવું અત્યંત શુભ મનાય છે.
ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસે કરેલા જપ-તપ અને સેવાનું અનેકગણું પુણ્ય મળે છે. આ દિવસ નવા સાહસો, સોનાની ખરીદી, રોકાણ કે ગૃહ પ્રવેશ માટે સર્વોત્તમ છે.
શું અક્ષય તૃતીયા પર વાળ ધોઈ શકાય?
ઘણા લોકો માને છે કે તહેવારના દિવસે વાળ ન ધોવા જોઈએ, પરંતુ અક્ષય તૃતીયાના દિવસે આવો કોઈ ધાર્મિક પ્રતિબંધ નથી. ઉલટું, આ દિવસે સ્નાન અને પવિત્રતાનું વિશેષ મહત્વ છે. પૂજામાં બેસતા પહેલા સ્વચ્છ અને સુઘડ હોવું જરૂરી છે, તેથી વાળ ધોવા સંપૂર્ણપણે સ્વીકાર્ય અને શાસ્ત્રોક્ત છે.
શું આ દિવસે ડુંગળી-લસણ ખાઈ શકાય?
અક્ષય તૃતીયા પવિત્રતાનો ઉત્સવ છે. ધાર્મિક રીતે ડુંગળી અને લસણને 'તામસિક' ખોરાક માનવામાં આવે છે. તેથી, જે લોકો આ દિવસે વ્રત, ઉપવાસ કે વિશેષ પૂજા કરતા હોય, તેઓ સાત્વિકતા જાળવવા ડુંગળી-લસણનો ત્યાગ કરે છે. જોકે, આ શ્રદ્ધાનો વિષય છે, પરંતુ શુદ્ધ ભોજન લેવું વધુ હિતાવહ ગણાય છે.
શું સોનું દાન કરવું ફરજિયાત છે?
અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો રિવાજ ખૂબ પ્રચલિત છે, પરંતુ સોનું 'દાન' કરવું ફરજિયાત નથી. શાસ્ત્રો દાનની વસ્તુની કિંમત કરતા 'દાનની ભાવના' પર વધુ ભાર મૂકે છે. જો તમે સોનું દાન ન કરી શકો, તો અનાજ, વસ્ત્ર કે ઠંડા જળનું દાન કરીને પણ સમાન પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. દાનનો મુખ્ય હેતુ અહંકારનો ત્યાગ અને જરૂરિયાતમંદની મદદ કરવાનો છે.
અક્ષય તૃતીયાનો સાચો સંદેશ
અક્ષય તૃતીયા માત્ર ભૌતિક ખરીદીનો ઉત્સવ નથી, પરંતુ સકારાત્મક વિચાર અને પરોપકારની શરૂઆતનો દિવસ છે. આ દિવસે મન, વચન અને કર્મથી સારા કાર્યો કરવાનો સંકલ્પ લેવો જોઈએ, જે જીવનમાં કાયમી સુખ અને સંતોષ લાવે છે.

