ચૌદ ભુવનને ધ્રુજાવનાર રાવણનો આંતરિક ભય: શ્રી રામરૂપ લેતાં જ કેમ થરથર કાંપતો હતો લંકાપતિ?

યજ્ઞામાં રાક્ષસો વિઘ્ન ન કરે તે માટે, રક્ષા કરવા વિશ્વામિત્ર ઋષિ, શ્રીરામજીને તથા લક્ષ્મણજીને પોતાના આશ્રમમાં લાવ્યા. યજ્ઞાનો આરંભ શરૂ થયો. શ્રીધર સ્વામીએ, 'રામવિજયલીલા કથા'માં લખ્યું છે કે યજ્ઞાના મંડપના દરવાજે રામલક્ષ્મણ પહેરો ભરતા. રામ-લક્ષ્મણે એટલાં બધાં રૂપ ધરેલાં કે રાક્ષસો જે દરવાજે જાય, ત્યાં શ્રીરામ-લક્ષ્મણ દેખાતા.
રાક્ષસો વિઘ્ન કરવા લાગ્યા. મારીચ રાક્ષસ પણ આવ્યો. પ...ણ, રાક્ષસોએ દરેક જગાએ રામ-લક્ષ્મણને જોતાં જ, તેમના દર્શનથી રાક્ષસોની દુષ્ટ બુદ્ધિ બદલાઈ ગઈ અને ત્યાંથી ચાલ્યા ગયા.
શ્રીલંકા પાસે રામ-રાવણનું યુદ્ધ શરૂ થયું ત્યારે, 'કુંભકર્ણે' રાવણને કહ્યું, 'તું માયાવી રૂપ રામજીનું લે. પછી સીતાજી પાસે જા. સીતાજી ધારશે કે 'રામ' આવ્યા. ને વશ થશે.
ત્યારે રાવણે કહ્યું, 'અરે ભાઈ કુંભકર્ણ ! આ રામમાં કાંઈ જાદુ લાગે છે. હું રામનું સ્વરૂપ ધારણ કરવા જ્યાં તેમના સ્વરૂપનું ચિંતન કરું છું. ત્યાં, મારું મન બદલાઈ જાય છે. જ્યારે હું માયાવી રીતે રામનું રૂપ ધારણ કરવા જાઉં છું ત્યારે, મને સીતાજી 'માતારૂપે' દેખાય છે. પછી તો... મારામાં સીતા પ્રત્યે કોઈ ખરાબ વિચાર રહેતો નથી.'
ત્યારે કુંભકર્ણે રાવણને બોધ આપ્યો કે 'તો... તો રામજી જરૂર ઇશ્વર છે. તેમને જોઈ તું નિષ્કામ બને છે. તો હવે, તું રામ સાથે વેર ન રાખ... વેર છોડ... દેવાધિદેવ શ્રીરામજી સાથે વેર કરનારો તું મૂર્ખ છે.'
'તેમની સાથેના યુદ્ધમાં હું તને મદદ નહિ કરું' હું તો વિભીષણની માફક રામજીના ચરણનો આશ્રય લઈશ.'
શ્રીરામજીના ઇશ્વરીય સ્વરૂપ શક્તિનો અનોખો અનુભવ રાવણે કર્યો છતાં, રાવણની બુદ્ધિ અશુદ્ધ જ રહી. ને... રામજી પ્રત્યે દુષ્ટતા રાખી. રાવણ લડયો ને મર્યો.
આ પ્રસંગ આપણને બોધ આપે છે કે જ્યારે જ્યારે આપણે ઇશ્વર સ્મરણ-સત્કાર્ય પૂજા-પાઠ-સેવા કરવા બેસીએ ત્યારે વિવિધ વિષયોની વાસનાઓ, વિઘ્નો નાખી આપણને હેરાન કરે છે. તો આપણે દ્રઢતાથી પ્રભુપ્રેમ રાખી... નિ:શ્ચયથી આપણી આરાધના ચાલુ રાખવી. જેથી પ્રભુ વિઘ્નો દૂર કરશે જ.
મને કોઈ 'મારીચ (રાક્ષસ) એટલે કે વિઘ્નો - મુશ્કેલીઓ નાખી હેરાન કરી શકશે નહિ. પ્રેમથી પ્રભુ ઉપાસના અને પ્રભુ સાથેનો સંબંધ રાખવાથી આપણો 'જીવનયજ્ઞા' ચાલુ રાખીશું. હા, પ્રતિક્ષણે આપણે સાવધાનપણે પ્રભુમય બની રહેવું પડશે.
લોકો મંદિરોમાં જાય છે. અનેક યાત્રાઓ કરે છે. પ... ણ પ્રભુપ્રેમમાં વિશ્વાસ ન હોવાથી વિઘ્નો આવતાં નિરાશ-હતાશ થઈ... પ્રભુ સ્મરણ છોડી, જીવનયજ્ઞાને વેડફી નાખીએ છીએ. 'પાપ'રૂપી વિઘ્નો આપણી ઉપર ચડી બેસે છે ને તૃષ્ણાઓ... આસક્તિઓ... અભિમાન આપણા જીવનને છિન્ન-ભિન્ન કરી નાખે છે.
ચિંતન :
* સદા સત્સંગમાં રહીને, ભગવાન ભજતો જા
પ્રભુભક્તિમાં તારું, જીવન કુરબાન કરતો જા.
* શરણે આવ્યો હું હે પ્રભુ ! આપ કરો ઉદ્ધાર
બુદ્ધિને શુદ્ધ કરો, ઉતારો ભવપાર.
* પ્રત્યેક દિન 'પ્રભુ પ્રસાદ' રૂપ છે, અનુભવ કરવો જોઈએ.

