Dharmlok: મનુષ્યને ત્રણ ગુણોનાં દોરડાંથી કસીને બાંધી દીધો છે છતાં તેને ઇચ્છા સ્વાતંત્ર્ય આપ્યું છે

મનુષ્ય પોતાનાને બીજાના અનુભવોથી ભૂતકાળનો વિચાર કરી તેમાંથી બોધ લે છે.મનુષ્ય ભૂતના અનુભવોને આધારે તથા એમ જ સ્વતંત્ર રીતે પણ ભવિષ્યનો વિચાર કરી ભવિષ્યની યોજનાઓ બનાવી શકે છે.જ્યારે તે વર્તમાનકાળમા કશી ઘટના જુએ ત્યારે જરૂર પ્રમાણે તે ભૂત અને ભવિષ્યનો વિચાર પણ તેની સાથે કરી શક્તો હોય છે.કોઈ સંસ્કૃત કવિએ કહ્યું કે સાહિત્ય,સંગીત અને કળાઓથી જે પરિચિત હોય નહી તે મનુષ્ય ન હોતા પશુ જ છે ફરક એટલો કે પશુને શીગંડાને પૂછડું હોય છે જ્યારે આ મનુષ્યરૂપી પશુને શીંગડા-પૂછડું નથી.પણ માત્ર સાહિત્ય,સંગીત,કળા જ શું કામ ? જેને પણ વિચારવાની,મનન કરવાની ભૂતકાળનું પૃથ્થકરણ કરવાથી અનુમાન કરવાની,કલ્પના કરવાની વગેરે શક્તિઓ નથી મળી તે પણ મનુષ્ય હોય છતાં પશુતાની વધુ નજીક છે.આ ચર્ચા અહીં પ્રયોજન શું છે?
બાળક કેવી રીતે જન્મ્યું? એક બુંદમાંથી શરીર ઘડાયુ એ તો ભૌતિક ક્રિયા થઇ પણ આ ચૈતન્ય ક્યાંથી દાખલ થયું ? એ બાળક વિકાસ કરે છે એક વેંતનું બાળક પહેલવાન કે વિધ્વાન કે કલાકાર કે યોધ્ધો કેમ બનતું નથી ? બે સગા ભાઈઓમાં પણ આસમાન-જમીનનું અંતર શાથી હોય છે ? એમ જ કોઈનું મૃત્યુ થયું.પહેલા જે તમામ ક્રિયાઓ કરતો હતો તે ક્ષણભરમાં મડદુ થઈ ગયો તેમાં શું થયું?
આધુનિક કાળમાં પોતાને બુધ્ધિમાન કહેરાવતા ઘણા લોકો પૂર્વજન્મ અને પુનર્જન્મમાં માનવુ એટલે પછાત પણુ-બુધ્ધિનો ઓછો વિકાસ,અંધશ્રધ્ધા એવું માને છે.પણ સાચી વાતતો એ છે કે જેઓ એવો વિચાર કરી શકતા નથી તેમનામાં જ મનુષ્ય બનવાની પાયાની શરત પૂરી થતી ન હોવાથી તે અધુરો મનુષ્ય જ ગણાય.ભૂતની બેઠક પર વર્તમાન ઉભો છે.અને વર્તમાનની કાંધ પર ભવિષ્ય આરૂઢ થવાનો છે.આ રીતે જીવનની સાંકળની ગમે તેટલી દૂરની બે કડીઓ પણ એકબીજા સાથે સતત ને દઢપણે જોડાયેવલી રહે છે.ભૂત મરી ગયો નથી.
એ વર્તમાનમાં રહીને હજી પણ જીવી રહ્યો છે એ ભવિષ્યનાં પેટમાં પેસીને ભૂતની સાથે ભૂત બની ભાઈબંધી કરીને જીવતો રહેવાનો છો.અને ભવિષ્ય પણ કંઈ આકાશમાંથી એકાએક ટપકવાનું નથી.વર્તમાન છે ભવિષ્યનો પિતાને ભૂત છે એનો દાદો-પુત્ર ગમે તેટલું ઇચ્છે પણ એનો પિતાને દાદા એનો સાથ છોડે તેમ નથી.તેથી મનુષ્યે સતત પોતાના ભૂતકાળ અને ભવિષ્ય પર સમજપૂર્વક નજર રાખવી જોઈએ.મૃત્યુ તો અવશ્ય આવવાનું છે.પણ એ મૃત્યુથી જીવનનો પ્રવાહ કંઈ તૂટી જવાનો નથી,તો મૃત્યુ પછી જીવન કેવું હશે તેનો કોઈ આપણે અંદાઝ આની શકે ખરો ?ગીતાએ એ દિશામાં પૂરતો સંકેત આપ્યો છે.વિગતો આપી નથી,પણ આ જીવન પછીનું જીવન કેવું હોવાનું તેનો ઝાંખો ખ્યાલ જરૂર આપ્યો છે.મૃત્યુની વેળાએ જીવ પોતાના પુરુષાર્થ અનુસાર ત્રણ ગુણોની અમુક સ્થિતિએ પહોંચ્યો હોય છે.એ અંતિમ પળે ત્રણ ગુણોની જે સ્થિતિ હશે તે ભારે નિર્ણાયક બનશે.ભવિષ્યનું આખુ જીવન જ આ અંતિમ પળોની ગુણની સ્થિતિ પર માંડણી કરશે. તેથી મૃત્યુની પળે ગુણની બાબતમાં જીવની કેવી સ્થિતિ છે.તેને આધારે તે વ્યક્તિ પોતે અને વિચારવંત અન્ય પુરુષો એના આગામી જીવનનો અંદાજ પામી શક્શે.પણ એ અંતિમ પળની સ્થિતિ પણ એકાએક નથી આવી હોતી.તે પહેલાનું જીવન જે રીતે જીવાયુ હોય તેને આધારે સ્થિતિ રચાય છે.એટલે અંતિમ પળે અમુક જીવન દરમ્યાન તે માટેનો પુરુષાર્થ કરવો જોઈએ.મનુષ્યને ત્રણ ગુણોનાં દોરડાંથી કસીને બાંધી દીધો છે છતાં તેને ઇચ્છા સ્વાતંત્ર્ય આપ્યું છે અને ઇચ્છા અનુસાર ચાલવાની શક્તિ આપી છે.તને બાંધી તો દીધો છે પણ તારો હાથ પહોચે એટલે અંતરે બંધનની દોરી કાપી શકાય એવો ધારદાર છરો મૂકેલો છે.તુ ઇચ્છે તો તારા બંધન કાપી નાખ પણ એક શરત છે.તારે ઇચ્છવું પડશે તારે બદલે કોઈ નહીં ઇચ્છે,વિચારી જો બંધન મીઠા લાગતા હોય તો તને બંધન મુબારક કોઈ તને કનડશે નહીં.મોજથી જીવન જીવ્યે જા પણ બંધન કઠતા હોય તો નક્કી કર અને લંબાવ તારો હાથ અહીં જ તારી કસોટી છે.તને બંધન પણ આપ્યું છે તે બંધનમાંથી છૂટવાનો માર્ગ આપ્યો છે.તે પછી પણ ના છૂટવું હોય અને તકનો લાભ ન ઉઠાવવો હોય તું કોઈને દોષ નહી દઈ શકે.તેથી મનુષ્ય હોવાના કારણે પોતાના વર્તમાન ઉપરાંત ભૂત અને ભવિષ્યનો પણ વિચાર કરી ભવિષ્યમાં જેટલો સુધારો કરવાનો તને અધિકાર છે.એનો લાભ ઉઠાવવો જોઈએ.
- ચેતન એસ.ત્રિવેદી

