Chitralok: કળા સાથે કોઈ બાંધછોડ નહીં: ઇમ્તિયાઝ અલીએ સિક્વલના પ્રોજેક્ટ્સને નકાર્યા

હિંદી ફિલ્મ જગતમાં અમુક દિગ્દર્શકો એવા છે જેઓ તેમની ફિલ્મને સુંદર સર્જન કહે છે. પોતાની ફિલ્મને પ્રેમ કરે છે. સમાજને એક મજેદાર, પ્રેમાળ સંદેશો આપવા ઇચ્છે છે. હિન્દી ફિલ્મ જગતના મહાન સર્જક અને શો મેન રાજ કપૂર, બીમલ રોય, સત્યજિત રે , કે. આસિફ, મહેબુબ ખાન વગેરેની ફિલ્મોને આજે દાયકા બાદ પણ યાદ કરવામાં આવે છે. આ બધા ફિલ્મ સર્જકોએ તેમની અમર, યેાદગાર ફિલ્મોની બીજી આવૃત્તિ કે સિક્વલ નથી બનાવી.
ફોડ પાડીને કહીએ તો રાજ કપૂરની આવારા, બીમલ રોયની મધુમતી, સત્યજિત રેની પાથેર પાંચાલી, કે.આસિફની મુઘલ - એ -આઝમ, મહેબુબ ખાનની મધર ઇન્ડિયા વગેરે અમર, સદાબહાર અને યાદગાર ફિલ્મોની બીજી આવૃત્તિ કે સિક્વલ નથી બની. કે અન્ય કોઇ નિર્માતા કે દિગ્દર્શકે આ બધી ફિલ્મોની સિક્વલ બનાવી નથી. કહેવાનો અર્થ એ છે કે આ બધી ફિલ્મો અદભુત અને અમર સર્જન છે. એવું સર્જન જે જીવનમાં ફક્ત અને ફક્ત એક જ વખત સર્જાય.
ઇમ્તિયાઝ અલી પોતાની રોકસ્ટાર(૨૦૧૧) અને ચમકીલા(૨૦૨૪) એમ બે ફિલ્મોનો ઉલ્લેખ કરતાં કહે છે, મને આ બંને ફિલ્મનાં અમુક દ્રશ્યો બહુ ગમે છે. ઉદાહરણરૂપે ચમકીલા ફિલ્મમાં સૂર્યાસ્તનું દ્રશ્ય છે. અમે સૂર્યાસ્તનું શૂટિંગ કરતા હતા ત્યારે મેં ફિલ્મના હીરો દિલજિત દોસાંજને કહ્યું, તું ત્યાં જ બેસ. હું એક કર્ણપ્રિય ગીત રજૂ કરું છું. તું ધ્યાનથી ગીત સાંભળ અને પછી કેમેરાના લેન્સ સામે જો. આ દ્રશ્ય ફિલ્મમાં સૌથી લાંબું છે. બસ, મને આ દ્રશ્ય બહુ ગમે છે. કોઇ જ ખુલાસા વગર.
ઇમ્તિયાઝ અલીની સુપરહીટ રોકસ્ટાર અને તમાશા એમ બે ફિલ્મોમાં રણબીર કપૂર છે. આ બંને ફિલ્મોનાં ગીતો પણ લોકપ્રિય થયાં છે. દર્શકો પણ ઇચ્છે છે કે ઇમ્તિયાઝ અલી ફરીથી રણબીર કપૂરને લઇને નવી ફિલ્મ બનાવે.
ઇમ્તિયાઝ અલી એવી સ્પષ્ટતા કરે છે કે હાલના તબક્કે તો મારી પાસે એવી કોઇ સ્ટોરી નથી કે જેમાં હું રણબીરને લઇને ફિલ્મ બનાવું. આમ છતાં ભવિષ્યમાં કોઇ સરસ મજાની વાર્તા મળશે તો રણબીર કપૂરને જરૂર આમંત્રણ આપીશ.
ઇમ્તિયાઝ અલી લગભગ ૨૦ વર્ષથી બોલીવુડમાં છે. ઘણાં જાણીતાં કલાકારો, સંગીત નિર્દેશકો સાથે કામ કર્યું છે. વિચારશીલ દિગ્દર્શક ગણાતા ઇમ્તિયાઝ અલી કહે છે, હું ઘણાં કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકોને રૂબરૂ મળ્યો છું. હજી મળું છું. અહીં અમુક ગૂ્રપ એવાં પણ છે જેઓ અહીંતહીં ફરતા રહે છે. મને તો સમજાતું નથી કે આવાં લોકો પાસે આટલો બધો સમય કેમ હોય છે ? બસ, ફક્ત ગામગપાટા મારવા માટે ? હું એક વખત શાહ રૂપ ખાનને મળ્યો ત્યારે તે નિરાંતે બેઠો હતો. શાહ રૂખે મારી સાથે સતત ૫ -૬ કલાક સુધી વાતો કરી હતી.બસ, એમ જ. જેટલા પણ ખાન છે તેઓ માટે અને કેટલાક નિર્માતાઓ અને દિગ્દર્શકો માટે પણ આવું જ કહી શકાય.

