Dharmlok: "દુર્ગ નામના દૈત્યનો વધ કરીશ અને દુર્ગા દેવીના નામથી પ્રસિદ્ધ થઈશ"- માતાજીની આરાધનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી

- પુરાણી મહેન્દ્ર મહારાજ
''તત્રેવ ચ વદ્યિશ્યામિ દુર્ગમાખ્યં મહાસુરમ્ ! દુર્ગાદેવીતિ વિખ્યાતં તન્મેનામ ભવિષ્યતિ''
નવરાત્રી એટલે માંની આરાધનાનું પર્વ. ચાર નવરાત્રી દર વર્ષમાં આવે છે. અષાઢ-આસો-માઘ અને ચૈત્ર-ચંડીપાઠના અગીયારમાં અધ્યાયમાં આવે છે દુર્ગ નામના દૈત્યનો વધ કરીશ અને દુર્ગા દેવીના નામથી વિખ્યાત થઈશ. કેન ઉપનિષદમાં શક્તિ સ્વરૂપે અવતાર કથા તથા આરાધના - ઉપાસના - અને સાધનાનો ઉલ્લેખ છે.
દુર્ગાસપ્તસતીમાં વિભિન્ન રૂપોનો ઉલ્લેખ છે. યોગીની હૃદયતંત્રમાં તથા માં દુર્ગાનો સચ્ચિદાનંદ સ્વરૂપી મહાશક્તિરૂપે ઉલ્લેખ છે. તેથી જ શક્તિનું અંતર્મુખ થવું શિવ છે અને શિવનું બહિર્મુખ થવું તે શક્તિ છે. આથી માં દુર્ગા દેવીની ઉપાસનાનું અદ્ભુત મહત્વ સમજી નિષ્કામભાવે આરાધના કરવામાં આવે તો અદ્ભુત પરિણામ મળે છે.
ચૈત્રી નવરાત્રીનો મંગલ પ્રારંભ થતાં જ ભક્તજનો સતત નવ દિવસ સુધી માં દુર્ગાની આરાધના કરે છે. જેમાં મુર્તિયા છબીને ગંગાજળ-પંચામૃત વિગેરેથી સ્નાન કરાવી બાજોઠ ઉપર પધરાવે છે શુધ્ધ વસ્ત્રો પહેરાવી તિલક-ચોખા-પુષ્પહાર વિગેરે ચઢાવે છે દિપ પ્રગટાવી મંત્ર જાપ કરે છે જેમાં,'ઓમ રીમ્ દુર્ગાયૈનમ: ।।' નવ દિવસ સુધી જપ પુર્ણ થતાં ચૈત્રી આઠમ જેને દુર્ગાષ્ટમી કહેવાય છે તે દિવસે આહુતિ અર્પણ કરે છે કુળના રિવાજ પ્રમાણે નૈવેદ્ય ધરાવે છે. બીજા દિવસે નોમના દિવસે તે પુર્ણ કરી વિસર્જન કરે છે. નવદુર્ગાના નવ નામ પણ છે. બોલવાથી કે શ્રવણ કરવાથી કષ્ટ દુર થાય છે.
પ્રથમં શૈલપુત્રીંમ, દ્વિતિયં બ્રહ્મચારીણી, તૃતિયં ચંદ્રઘંટેતી, કુષ્માંડેતી ચતુર્થકમ્, પંચમ સ્કંદમાતેતી, ષષ્ઠ કાત્યાયનિતિય, સપ્તમં કાલરાત્રીમ, મહાગૌરીતી આઠમં, નવમં સિધ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકિર્તીતા ।। આમ ચૈત્રી નવરાત્રીમાં માં દુર્ગા દેવીની ઉપાસનાથી તમામ વિઘ્નો દુર થાય છે.

