વૈભવ, સત્તા અને સમૃદ્ધિની ટોચ પર પહોંચ્યા પછી પણ અધૂરી રહેતી જિંદગી

આજે શાંતિ મેળવવા આખું વિશ્વ દોડે છે, ભૌતિક પદાર્થો મેળવે છે, પણ તેમાં શાંતિ નથી. જ્યાં એની તૃષ્ણાની દોટ વિરમશે, ત્યાં શાંતિ વરમાળા લઈને ઉભી હશે. પણ બહુધા એવું બને છે કે જિંદગીભર માણસ ભૌતિક પદાર્થો પાછળ શાંતિ મેળવવા દોડતો રહ્યો છે, જે શાંતિની વિરૂદ્ધ દિશા છે.
ભારતનો અકિંચન, લંગોટીભર બેઠેલ એક સાધુ સિકંદરને ''ભિખારી'' કહી તુચ્છકારી નાંખે છે. ત્યારે સિકંદરની આંખ ઊઘડે છે, એમ કે મારી સત્તા ભૂખ, પૃથ્વીલાલસા કે રાજ્ય તૃષ્ણાને વશ થઈ દિશાવિહીન દોડતો હું હકીકતે ભિખારી જ છું. તેણે જીવનમાં ઘણાં રાજ્યો તાબે કર્યા હતા. ધન મેળવ્યું હતું પણ અંત વેળાએ વસિયતનામામાં તેણે લખાવ્યું છે કે ''મેં જે કંઈ મેળવ્યું છે તેનાથી મને શાંતિ મળી નથી. હું તે પૈકી કશું સાથે લઇ જતો નથી - ઠાલા હાથે જઇ રહ્યો છું.''ૉ
સત્તા-સમૃદ્ધિને સ્ત્રી ત્રણે દ્રષ્ટિએ દુનિયામાં ''કિંગ'' તરીકે ખ્યાતિ પામેલ કિંગ સોલોમન પણ વૃદ્ધ વયે અંતદ્રષ્ટિ કરતા કહે છે. ''આ વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી. કે જે મેં પ્રાપ્ત કરી ન હોય....!! હજાર રાણીઓ, સોનાના વાસણો, હીરાજડિત રાજમહાલયો, રથો...જે કંઈ મેળવ્યું છે તે બધુ જ બાચકો ભરીને હવા છે. મારી દોટ હવા પાછળ હતી, કારણ કે મને આ પૈકી કોઇ શાંતિ પમાડી શકતું નથી....''
નેપોલિયન વિશ્વનો શ્રેષ્ઠ રાજવી યોદ્ધો હતો. સંકલ્પ કરે ને રાજ જીતી લે કહ્યાગરૂ સૈન્ય, ભરયૌવન, સંપત્તિની છોળો ઉડે ! એ કહે છે. ''મારી પાસે શું નથી ? છતાં મારી જિંદગીમાં મે છ દિવસ સુખના જોયા નથી...!!
મહાત્મા ટોલ્સટોય લખે છે. ''મારી ઉંમર પુરા ૫૦ વર્ષની પણ નહોતી, સુશીલ, વ્યવહારકુશળ, અને પ્રેમાળ પત્ની હતી. બાળકો કહ્યાગરા અને સમજુ હતા. શરીર અને મનથી હું બીજા કરતા અધિક સુખી, બળવાન ને નિરોગી હતો...છતાં મને મારૂ જીવન હેતુશૂન્ય લાગે છે. મારા ૨૫ વર્ષના જીવનનો તટસ્થપણે વિચાર કરૂ છું. તેમાં મને અંધકાર જ દેખાય છે.''
અહીં જે જે વ્યક્તિઓના ઉદ્ગાર મૂક્યા છે તે વિભિન્ન ક્ષેત્રે સર્વોચ્ચ હતી છતાં શાંતિની વરમાળા તેના કંઠથી ઘણી છેટે રહી ગઈ છે. એ પ્રત્યક્ષ જણાય છે. મુનિ ચાણક્ય સાચુ કહે છે : ધનપ્રાપ્તિમાં, જિજિવિષામાં, સ્ત્રી બાબતે અને આહારોમાં બધા જ મનુષ્યો અતૃપ્તિ અનુભવતા ગયાં છે, જાય છે અને જશે.
સાચી શાંતિ તો ભગવાનનાં ચરણાર્િંવદમાં છે. શાંતિ માટેનું સાચુ સરનામું એટલે મંદિર....માનવીને માનસિક શાંતિ આપનાર મંદિર છે અહીં અંતરીક્ષમાંથી શીતળતાના બુંદ વરસે છે. આત્મા ઠરે છે....અંતરને ટાંઢક વળે છે...ઉરના ને અંગના અગ્નિ શાંત પડે છે...ટૂંકમાં દેહમાં ને ચેતનમાં ઝીણા ઝીણા અતિ ઝીણા અમીઝરણા પ્રગટે છે.

