ગીરમાં માણી શકશો ગોવા જેવો આનંદ, અહેમદપુર માંડવી બીચ પર આ તારીખથી યોજાશે ફેસ્ટિવલ

રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવા સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે 24 જાન્યુઆરીથી ત્રણ દિવસ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. જેમાં પ્રવાસીઓ લાઈવ કોન્સર્ટ અને લેઝર શો માણી શકે તે માટે ફેસ્ટિવલ પૂર્વે જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ફેબ્રુઆરીમાં પરિવાર સાથે ફરવા માટે બેસ્ટ છે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળો, આહલાદક હોય છે અહીંનું હવામાન
સંઘ પ્રદેશ દીવના ઘોઘલાને અડીને આવેલો ગુજરાતના ગીરનો અહેમદપુર માંડવી બીચ દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. અહીં ગીર સોમનાથ કલેક્ટરે મુલાકાત કર્યા બાદ બીચને ડેવલપ કરવાનું બીડું ઉઠાવ્યું છે. જેથી રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 24,25 અને 26 જાન્યુઆરીના રંગારંગ બીચ ફેસ્ટીવલ યોજવામાં આવશે. આ માટે જિલ્લાના તમામ વિભાગોને સાથે રાખી કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અહેમદપુર માંડવી બીચ હાલ પ્રવાસીઓમાં સૌથી ઓછી ઓળખ ધરાવે છે, પરંતુ અહીં પ્રવાસન ઉદ્યોગ અને દરિયાઈ પર્યટનને લઈ વિશાળ તકો ઉપલબ્ધ હોવાથી તંત્ર દ્વારા ત્રિદિવસીય ભવ્ય બીચ ફેસ્ટિવલ યોજાવાનો છે. જેમાં ખારવા સમાજ અને તેની સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે પ્રથમ વખત બોટમાં સાંસ્કૃતિક ટેબ્લોની પરેડ, લાઈવ કોન્સર્ટ અને લેઝર શો સહિત વિવિધ એક્ટિવિટી તથા ફૂડઝોનની મજા પ્રવાસીઓને માણી શકશે.
બીચ નવા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે
ગીર સોમનાથ કલેક્ટરે જણાવ્યું હતું કે, અહેમદપુર માંડવી બીચ પ્રવાસીઓમાં નવી ઓળખ ઉભી કરે તે માટે અહીં ખાસ સનરાઈઝ પોઈન્ટ છે. આ બીચ પર બહુ મોટી સંખ્યામાં ડોલ્ફિન માછલી પણ જોવા મળે છે. દરિયાઈ આધારિત વોટર સ્પોર્ટસ એક્ટિવિટીની અહીં સારી શક્યતા પણ જણાય છે. ત્રણ દિવસ યોજાનારા બીચ ફેસ્ટિવલને કારણે ગીરનો અહેમદપુર માંડવી બીચ નવા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે તથા પ્રવાસન ગતિવિધિને પણ વેગ મળશે.

