National Doctor’s Day 2025 / શા માટે ઉજવવામાં આવે છે ડોક્ટર દિવસ? જાણો આ વર્ષની થીમ

ભારતમાં દર વર્ષે 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ (National Doctor’s Day) ઉજવવામાં આવે છે. આ દિવસ ડોકટર્સના અથાક પ્રયત્નો, નિઃસ્વાર્થ સમર્પણ અને સમાજ પ્રત્યેની અમૂલ્ય સેવાઓની પ્રશંસા કરવાનો એક ખાસ પ્રસંગ છે. મેડિસીન એક નોબેલ પ્રોફેશન તરીકે ઓળખાય છે અને ડોકટર્સને સમાજમાં ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચાલો આ લેખમાં આ દિવસના ઈતિહાસ, મહત્ત્વ અને આ વર્ષની થીમ વિશે જાણીએ.
આ વર્ષ ડોક્ટર દિવસની થીમ
આ દિવસ માત્ર ડોકટર્સની મહેનતની પ્રશંસા નથી કરતો, પરંતુ આરોગ્ય ક્ષેત્રના પડકારો અને પ્રગતિની ચર્ચા કરવા માટે પણ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. 2025માં રાષ્ટ્રીય ડોક્ટર દિવસની થીમ 'Behind the Mask: Who Heals the Healers?' છે.
આ થીમનો અર્થ એ છે કે ડોકટર્સ, જેઓ પોતે હંમેશા માસ્ક પાછળ રહીને બીજાઓના દુઃખને દૂર કરવામાં રોકાયેલા રહે છે, તેઓ ઘણીવાર પોતાની સુખાકારીને અવગણે છે. આ થીમ ભાર મૂકે છે કે ડોકટર્સને પણ ઈમોશનલ અને મેન્ટલ સપોર્ટની જરૂર છે. તે સમાજ, આરોગ્ય પ્રણાલીઓ અને ડોકટર્સને જ પ્રશ્ન કરે છે કે જે લોકો બીજાઓને સાજા કરે છે તેમને કોણ સાજા કરશે? તેનો ઉદ્દેશ્ય ડોકટર્સના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જાગૃતિ લાવવાનો અને તેમને જરૂરી સહાય પૂરી પાડવાનો છે.
ડોક્ટર દિવસની શરૂઆત ક્યારે થઈ?
ભારત સરકારે 1991માં રાષ્ટ્રીય ડોક્ટર દિવસની શરૂઆત કરી હતી. આ દિવસ પ્રખ્યાત સ્વપ્નદ્રષ્ટા ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્પિત છે. ડો. રોયનો જન્મ અને અવસાન બંને 1 જુલાઈ (1882-1962) ના રોજ થયા હતા.
તેમણે ભારતીય મેડિકલ કાઉન્સિલ (IMA) અને અનેક મેડિકલ કોલેજોની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 1961માં, તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. આ દિવસ તેમના જન્મદિવસ અને પુણ્યતિથિની ઉજવણી માટે પસંદ કરવામાં આવ્યો હતો, જે દવા અને જાહેર આરોગ્યમાં તેમના યોગદાનના મહત્ત્વને રેખાંકિત કરે છે.
ડોક્ટર દિવસનું મહત્ત્વ
રાષ્ટ્રીય ડોક્ટર દિવસ એ ડોકટર્સની નિઃસ્વાર્થ સેવાનું સન્માન કરવાનો પ્રસંગ છે. આ દિવસ સમાજને યાદ અપાવે છે કે ડોકટર્સ હંમેશા દર્દીઓની સારવાર માટે ઉભા રહે છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી જેવા સંકટમાં, ડોકટર્સ એ પોતાના જીવ જોખમમાં મૂકીને લાખો લોકોના જીવ બચાવ્યા છે. આ દિવસ સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રને સુધારવા, તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ડોકટર્સની સુખાકારી માટે જાગૃતિ લાવવાની એક મહાન તક પણ પૂરી પાડે છે.
રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ગામડાઓથી શહેરો સુધી, દરરોજ, તમામ મેડિકલ પ્રોફેશનલ્સની ભૂમિકાને જાહેર માન્યતા આપે છે. આ દિવસ જનરલ પ્રેક્ટિશનરોથી લઈને નિષ્ણાતો અને સર્જનો સુધીના તમામ ડોકટર્સનું સન્માન કરે છે, જેમણે સેવા અને સારવારના શપથ લીધા છે. આ તેમના અથાક યોગદાનને સ્વીકારવાનો દિવસ છે.

