Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Answers of your Confusions at gstv

Sahiyar: મૂંઝવણ 

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: મૂંઝવણ 
સોર્સ : GSTV

સવાલ: હું ૪૧ વર્ષની મહિલા છું અને મારે ૨ દીકરા છે. મને લાંબા સમયથી ગર્ભાશયમાં ૨ નાનીનાની ફાઈબ્રોઈડની રસોળી છે, પરંતુ હાલમાં મેં જ્યારે અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું ત્યારે જાણ થઈ હતી કે આ રસોળીની સાઈઝ વધીને ૨-૫ સેન્ટિમીટર થઈ ગઈ છે.ડૉક્ટરનું કહેવું છે કે મારી ઈચ્છા હોય તો ગર્ભાશયને કાઢી શકાય છે, પરંતુ મને તેના રહેવાથી કોઈ તકલીફ નથી. તેમ છતાં મને ડર છે કે ક્યાંક કોઈ કોમ્પ્લિકેશન ન થઈ જાય. કૃપા કરીને જણાવો કે હું શું કરું?

App Store

એક સ્ત્રી (વડોદરા)

ફાઈબ્રોઈડ મહિલાના ગર્ભાશયમાં થતી સામાન્ય રસોળી છે. અલ્ટ્રાસાઉન્ડ કરાવતા લગભગ ૪૦ ટકા મહિલાઓના ગર્ભાશયમાં આ રસોળી જોવા મળતી હોય છે. કેટલીક મહિલાઓ જેમ કે તમારા કેસમાં આ રસોળી નાનીનાની છે, જ્યારે કેટલાક કેસમાં તે ફૂટબોલ જેટલી મોટી પણ થઈ જતી હોય છે.

જ્યાં સુધી ફાઈબ્રોઈડના થવાથી માસિકધર્મના સમયે ખૂબ વધારે બ્લીડિંગ થવાની પરેશાની ન ઊભી થાય, કોઈ મહિલા બાળકની ઈચ્છા ધરાવતી હોય અને ફાઈબ્રોઈડના લીધે તેની આ ઈચ્છા પૂરી થવામાં અડચણ ન આવે અથવા ફાઈબ્રોઈડના લીધે કોઈ કોમ્પ્લિકેશન ઊભા ન થાય જેમ કે રસોળીનું પોતાની ધરી પર ચક્રવત કરવું અને રક્ત આપત્તિ અટકવાથી ઈમર્જન્સી પેદા ન થાય અથવા તો ખૂબ વધારે મોટા થવા પર બ્લેડર દબાવું અથવા મળાશયના દબાવાથી કોઈ પરેશાની ઊભી ન થાય, આ સ્થિતિ ન આવે તો સોળીને ભૂલવામાં જ સમજદારી છે.

તમે જે ઉંમરના પડાવ પર છો, તે ઉંમરમાં રોળીને સરળતાથી કોઈપણ પ્રકારની છેડછાડ વિના છોડી શકાય છે, ખાસ તે સ્થિતિમાં જ્યારે તમે ફેમિલી બનાવી ચૂક્યા છો અને તેની હાજરીથી તમને કોઈ તકલીફ પણ નથી થઈ રહી. 

જેમજેમ તમારી ઉંમર વધશે અને તમે રજોનિવૃત્ત થશો તથા તમારા શરીરમાં યૌન હોર્મોન્સનું પ્રમાણ ઘટશે તેમતેમ આ રસોળી આપમેળે સંકોચાવા લાગશે.

સવાલ: હું ૨૬ વર્ષની છું અને પ્રેગ્નન્સીના ત્રીજા મહિનામાં છું. મને સવારે ઊઠતા ઊલટીઓ થાય છે, ચક્કર આવે છે અને કમજોરી પણ અનુભવાય છે. ડોક્ટરની સલાહ પર મેં ગ્લુકોઝની ડ્રીપ પણ લગાવડાવી. તેમ છતાં કોઈ લાભ થયો નથી. એવો કોઈ ઉપાય બતાવો, જેનાથી મારી આ સમસ્યા દૂર થાય? એક યુવતી (રાજકોટ)

પ્રેગ્નન્ટ થતી મહિલાના શરીરમાં એકસાથે અનેક પરિવર્તન આવે છે. તેમાં હોર્મોનલ ફેરબદલ પણ સામેલ છે. આ બધાના કારણે તેને ઊલટી થવાની સમસ્યા થતી હોય છે. આ લક્ષણ લગભગ ગર્ભાવસ્થાના બીજા મહિનાની શરૂઆતમાં દેખાતા હોય છે. તેની તીવ્રતા કોઈ મહિલામાં વધારે તો કોઈનામાં ઓછી દેખાતી હોય છે. કેટલાકને સામાન્ય ગભરામણ થતી હોય છે, તો કેટલાકને ઊલટી થાય છે, પરંતુ મોટાભાગની મહિલાઓમાં આ સમસ્યા ચોથો-પાંચમો મહિનો પસાર થતા આપમેળે દૂર થઈ જાય છે.

આ સમયગાળા દરમિયાન આરામ મેળવવા માટે તમે કેટલાક નાના નાના ઉપાય અપનાવી શકો છો. જો ઊલટી સવારે વધારે થતી હોય તો સવારે પથારી છોડતા પહેલાં એક સૂકું ટોસ્ટ અથવા બિસ્કિટ ખાઈ લો. સારું રહેશે કે તમે તમારા ભોજનમાં થોડો બદલાવ લાવો. દિવસમાં ૩ વાર ભરપેટ ભોજન લેવાના બદલે થોડાથોડા સમયના અંતરે થોડાથોડા પ્રમાણમાં વધારે વાર ખાઓ.

ખાવાની કોઈ ખાસ વસ્તુ અથવા ગંધથી ગભરામણ થતી હોય તો તેવી વસ્તુથી દૂર રહો. ગર્ભાવસ્થા દરમિયાન ગંધ પ્રત્યે સંવેદનશીલતા વધી જતી હોય છે. આ સમસ્યામાંથી બહાર આવવા માટે ગરમાગરમ વસ્તુ ખાવાના બદલે ઠંડી વસ્તુ ખાવી યોગ્ય રહે છે, કારણ કે ઠંડી વસ્તુમાં ગંધ ઓછી હોય છે. ચોથા મહિનાથી વિકસતા ગર્ભનું ધ્યાન રાખતા ઢીલા આરામદાયક કપડાં પહેરો. વધારે ટાઈટ કપડાં ન પહેરો.

જ્યાં સુધી ચક્કર આવવાની અને કમજોરી અનુભવવાની ફરિયાદ છે, તો સારું રહેશે કે તમે પોતાની મેડિકલ તપાસ કરાવો. આ સમસ્યાનો સંબંધ લોહીની ઊણપ અને બ્લડપ્રેશરના ઘટવા સાથે પણ જોડાયેલો હોઈ શકે છે.  જો કોઈ પોષક તત્ત્વોની ઊણપ ઊભી થઈ હોય તો તેને પૂરી કરવા ડોક્ટર દવા પણ આપી શકે છે.

સવાલ: મારી ઉંમર ૧૫ વર્ષ છે. મને દર ૧૫ દિવસે પીરિયડ આવી જાય છે. ડોક્ટરને બતાવતા તેમણે દવા આપી, તે લેવાથી રાહત થાય છે, પરંતુ દવા બંધ થતા માસિકચક્ર ફરીથી ૧૫ દિવસનું થઈ જાય છે. ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનું લક્ષણ તો નથી ને? એક કન્યા (ગોધરા)

કિશોરાવસ્થામાં શરૂઆતના વર્ષોમાં થતા હોર્મોનલ બદલાવના લીધે માસિકચક્રની લયનું વિચલિત થવું સામાન્ય વાત છે. થોડા દિવસોના અંતરે વારંવાર રક્તવ થવાથી ખરેખર સમસ્યા તો પેદા થાય છે. તેથી મનની શાંતિ પણ છીનવાઈ જાય છે. વળી શરીરમાં લોહીની ઊણપ પણ સર્જાય છે.

આ સ્થિતિમાં સારું એ છે કે તેને શરીરના પુખ્ત થવાની એક શારીરિક પ્રક્રિયાનું સામાન્ય અંગ માનીને સ્વયં વસ્તુને ઠીક થવાનો સમય આપો, ન તો વિચલિત થાઓ કે ન પરેશાન થાઓ કે તમારામાં કોઈ રોગ છે. રજસ્વલા થવાના થોડા વર્ષોમાં મોટાભાગની કિશોરીઓના શરીર સ્વયં માસિકચક્રની નિયમિતતા સ્થાપિત કરી લે છે.

તેમ છતાં પણ જો કોઈ કિશોરી ધીરજ ન રાખે અથવા તેના શરીરમાં લોહીનો ખૂબ ઓછું થઈ જાય તો તેણે ડોક્ટરને મળવું જોઈએ. ડોક્ટર યૌન હોર્મોન્સની ગોળી આપીને માસિકચક્રની નિયમિતતાને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. તમારા ડોક્ટરે પણ એ જ કર્યું છે, પરંતુ આ પ્રયાસ ઘણી વાર કેટલાય મહિના સુધી ચાલુ રાખવા જરૂરી બને છે.

જ્યાં સુધી તમારું માસિકચક્ર યોગ્ય માસિક લય ન પકડી લે, ત્યાં સુધી યૌન હોર્મોન્સની ગોળીઓ લેવી જરૂરી બની જાય છે. બીજો વિકલ્પ એ છે કે તમે તમારા શરીરને સ્વયં પોતાની કુદરતી લય સ્થાપિત કરવા દો.

તમારા આહાર પર ખાસ ઘ્યાન આપો. વારંવાર લોહી વહી જવાથી શરીરમાં લોહીની ઊણપ થવી સ્વાભાવિક છે. તેનાથી બચવા માટે તમે ડોક્ટરની સલાહ લઈને નિયમિત આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ લો અને ભોજનમાં આયર્નયુક્ત વસ્તુ, લીલા શાકભાજી અને પ્રોટીન લો. બિનજરૂરી તમારે રમતગમત, એક્સર્સાઈઝ અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓથી દૂર રહેવાની કંઈ જરૂર નથી.

- અનિતા