વધુ પડતા સ્ક્રીન સમયથી કમજોર થાય છે હાર્ટ, કાર્ડિયોવેસ્ક્યુલર જોખમોથી બચવા કરો આ ઉપાય

સવારે આંખ ખૂલે ત્યારથી લઈને રાત્રે આંખો બંધ કરો ત્યાં સુધી લોકોની જિંદગી સ્ક્રીન સાથે ટેવાઈ ગઈ છે. દુનિયામાં દરેક વસ્તુ પર ધ્યાન રાખવું જરૂરી છે પરંતુ એટલી પણ ટેવ ના હોવી જોઈએ કે આ સ્માર્ટ ફોન- ગેઝેટ્સ તમારી જિંદગી છીનવી લે. સ્માર્ટ ફોન અને અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણો તમારા જીવનનો એક ભાગ બની ગયા છે. આજકાલ સ્માર્ટફોનનો વપરાશ એટલો બધો છે કે તમને એવું લાગે કે દુનિયા આખી તમારા આંગળીના ટેરવા ઉપર છે. પરંતુ તે ધીમે ધીમે ગુપ્ત રીતે તમારું જીવન પણ છીનવી લેવા માટે પણ જવાબદાર હોઈ શકે છે. તમને બધું આપ્યા પછી પણ તમારું જીવન છિનવી શકે છે. તમારી ઉંમર ઓછી કરી શકે છે. તમને એવું વિચારવા માટે મજબૂર કરી શકે છે કે તમારી પાસે બધું જ છે કારણ કે બધું જ ફક્ત એક સ્ટેપ દૂર છે.
ગંભીર કાર્ડિયોવેસ્ક્યુલર જોખમો વધારે
થાણેના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સુહેલ ધનાસેએ ડિજીટલ સ્ક્રીન સાથેના લોકોના દૈનિક જીવનને લીધે હેલ્ધિ લાઈફ ઉપર પડતી અસરો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી સ્ક્રીન સાથે સમય વિતાવવો ઘણી બિનઆરોગ્યપ્રદ આદતો તરફ દોરી જાય છે. આ આદતોને લીધે હાર્ટએટેકનો ભોગ પણ બની શકો છો. લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવું, ખોટી સ્થિતિમાં બેસ્વું અને મોડી રાત સુધી આવા ઉપકરણો સાથે જોડાયેલા રહેવું, અહીં સુધી કે ખોટા સમયે સમજ્યા વિચાર્યા વિના ફાસ્ટફૂડ ખાવા જેવી આદતોથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ વધે છે. આ બધા ગંભીર કાર્ડિયોવેસ્ક્યુલર જોખમો વધારે છે.
આવા લક્ષણો હૃદયરોગ માટે જોખમકારક
જો તમે લાંબો સમય સુધી સ્ક્રીન સમય પસાર કરો છો તો કેટલાક શારીરિક લક્ષણોને સામાન્ય થાક ગણીને નજર અંદાજ કરી શકો છો. પરંતુ આ અસરો વાસ્તવમાં ગંભીરતાથી લેવી જોઈએ. ડો. ધનાસે આવા લક્ષણો વિશે વાત કરતાં કહ્યું કે, થાક, માથાનો દુખાવો, ઊંઘનો અભાવ, અનિયમિત ધબકારા અને કારણ વિનાની ચિંતાઓ એ પ્રારંભિક ચેતવણીના લક્ષણો હોઈ શકે છે. રાત્રે સતત વાદળી પ્રકાશના સંપ્રકમાં રહેવાથી તમારા શરીરનું સિડ્યુલ બગડે છે. હાઈ બ્લડ પ્રેશર, વજન વધવું અને સુગર ડાયજેસ્ટિંગમાં અનિયમિતતા વધે છે. આવા લક્ષણો હૃદયરોગ માટે જોખમકારક છે.
કાર્ડિયોવેસ્ક્યુલર જોખમો
સ્ક્રીનટાઇમનો તમારી લાઈફ સ્ટાઈલ ઉપર અનેક પ્રકારે પ્રભાવ પડે છે. પછી ભલે તે ગરદનનો દુખાવો હોય કે નિયમિત રૂપે સ્ક્રોલ કરવાથી કાંડામાં ખેંચાણ-દુખાવો હોય, આમાંના કેટલાક ગંભીર કાર્ડિયોવેસ્ક્યુલર જોખમો છે.
ડૉ. ધનાસના જણાવા મુજબ લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવાથી રક્ત સંચાર ઓછો થાય છે. જેનાથી ઊંડી નસોમાં રક્ત ક્લોટિંગ થવાનો ભય વધે છે. બેઠાડુ જીવનશૈલી હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને સ્થૂળતામાં વધારો કરે છે. જે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકના મુખ્ય કારણો છે. વધુ પડતો તણાવ અને સ્ક્રીનના વધુ પડતા ઉપયોગથી, ઓછી ઊંઘ પણ સંવેદનશીલ વ્યક્તિઓમાં અનિયમિત હૃદય લય (એરિથમિયા) ને ઉત્તેજિત કરે છે.
ડોક્ટરોના મતે ઘણા અભ્યાસોના તારણ મુજબ, જે લોકો સ્ક્રીન પર 4 થી 6 કલાકથી વધુ સમય વિતાવે છે તેમને મેટાબોલિક સિન્ડ્રોમ થવાનું જોખમ વધારે છે, જે સીધા કોરોનરી ધમની રોગનું જોખમ વધારે છે.
કેવી રીતે સુરક્ષિત રહેવું?
તમારા હૃદયને તંદુરસ્ત- સુરક્ષિત રાખવા માટે કેટલાક સરળ પગલાં ફાયદાકારક છે. સ્વસ્થ દિનચર્યા અપનાવવી જરૂરી છે. નિયમિત પ્રાણાયામ, યોગા અને કસરત કરવાની સાથે સમયસર યોગ્ય સંતુલિત આહાર જરૂરી છે. સ્ક્રીન ટાઈમમાં દર 30થી 40 મિનિટે ટૂંકો વિરામ લો. શરીરને ખેંચો- સ્ટ્રેચિંગ આપો. આઘાપાછા થાઓ. સ્વસ્થ ઉંઘ લેવા માટે સૂતા પહેલા સ્ક્રીનનો સમય ઓછો કરો. બહારની શારીરિક પ્રવૃત્તિ, સંતુલિત આહાર અને નિયમિત તબીબી તપાસને પ્રાથમિકતા આપો.
સારા હૃદય સ્વાસ્થ્ય માટે યોગ્ય પ્રવૃત્તિ, આરામ અને સંતુલન સાથે શ્રેષ્ઠ રીતે કાર્ય કરવું જરૂરી છે. સ્ક્રીનથી થોડા બહાર નીકળો. સતત ટેકનોલોજી સાથે જોડાયેલા ન રહો.

