VIDEO: "યુવાનો પુસ્તકો વાંચવા માંગે છે, વાંક આપણો છે!" સીએમ યોગી આદિત્યનાથનું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજના ડિજિટલ યુગમાં પુસ્તક વાંચનની ઘટતી જતી ટેવ અને સોશિયલ મીડિયાના વળગણ અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે યુવાનોના પુસ્તક પ્રેમ અંગે એક મોટો ભ્રમ દૂર કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, યુવાનો પુસ્તકો વાંચવા તૈયાર છે, પરંતુ પુસ્તકો તેમના સુધી પહોંચાડવાની વ્યવસ્થા આપણે ઊભી કરવી પડશે.
લખનૌ ખાતે યોજાયેલા પુસ્તક મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતાં કહ્યું કે, "વડાપ્રધાનની પ્રેરણાથી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દેશભરમાં આ પ્રકારના પુસ્તક ઉત્સવોનું આયોજન કરીને અનોખી પહેલ કરી રહ્યું છે. આ પ્રયાસ દ્વારા આપણી પ્રાચીન જ્ઞાન પરંપરાને આધુનિક જ્ઞાન સાથે જોડવાનું એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે."
આજના યુવાનો અને ડિજિટલ માધ્યમો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "આજના ડિજિટલ યુગમાં યુવાનો પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા કે અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર સમય વેડફી રહ્યા છે, તે આપણા સૌ માટે ચિંતાનો વિષય રહ્યો છે. જોકે, આ પુસ્તક મહોત્સવે એ માન્યતા કે ભ્રમને ખોટો સાબિત કર્યો છે કે આજનો યુવાન પુસ્તકો નથી વાંચતો."
સીએમ યોગીએ ભારપૂર્વક ઉમેર્યું કે, "હકીકતમાં યુવાનો આજે પણ પુસ્તકો વાંચે છે, પરંતુ આપણે ક્યારેય તેમના સુધી પુસ્તકો પહોંચાડવાના પૂરતા પ્રયાસો કર્યા નહોતા. નવી પેઢી જ્ઞાન મેળવવા અને વાંચવા આતુર છે, હવે જવાબદારી આપણી છે કે પુસ્તકો સરળતાથી તેમના હાથ સુધી પહોંચે તેવી સંગીન વ્યવસ્થા આપણે ઊભી કરીએ."

