વિશ્વમાં મંદીની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભારત વિકાસની ગાથા લખી રહ્યું છે; GDP આંકને લઈ PM મોદીનું મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે ‘ભારત આજે વિશ્વમાં એક નવી ઓળખ બનાવી રહ્યું છે અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે. લાંબા ગાળાની ગુલામીએ દેશના આત્મવિશ્વાસને નબળો પાડ્યો હતો, પરંતુ હવે ભારત આ માનસિકતામાંથી બહાર નીકળીને નવા સંકલ્પો અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે.’
ગુલામીની માનસિકતા વિકસિત રાષ્ટ્ર માટે મોટો અવરોધ : PM મોદી
વડાપ્રધાને ખાનગી ચેનલના એક કાર્યક્રમમાં ભારપૂર્વક કહ્યું કે, ‘ગુલામીની માનસિકતા ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગમાં સૌથી મોટો અવરોધ હતી, પરંતુ સરકાર આ વિચારસરણીમાંથી મુક્ત થવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હવે દેશ દરેક ક્ષેત્રમાં બદલાવની માનસિકતા સાથે આગળ વધી રહ્યો છે અને નવો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે.
ભારત વૈશ્વિક અર્થતંત્રમાં મજબૂત ખેલાડી : વડાપ્રધાન
તેમણે અર્થવ્યવસ્થા પર કહ્યું કે, ‘તાજેતરમાં જાહેર થયેલા જીડીપીના આંકડા દર્શાવે છે કે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં મજબૂત ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. જ્યારે દુનિયામાં મંદીની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભારત વિકાસની ગાથા લખી રહ્યું છે અને વિશ્વાસનો સ્તંભ બની રહ્યું છે.’
વડાપ્રધાને સ્પેસ સેક્ટર અંગે શું કહ્યું ?
તેમણે સ્પેસ સેક્ટરમાં થયેલા સુધારાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘અગાઉ સ્પેસ સેક્ટરને સંપૂર્ણ સરકારના નિયંત્રણ હેઠળ હતું, જોકે સરકારે સુધારાઓ કરીને તેને ખાનગી કંપનીઓ માટે ખુલ્લો મૂક્યો. આ કારણે અવકાશ સંશોધનથી લઈને સેટેલાઇટ લોન્ચ સુધીના નવા દરવાજા ખુલ્યા છે, તેનું આજે પરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.’
‘આવનારા 25 વર્ષ ભારત માટે નિર્ણાયક’
વડાપ્રધાને મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ‘આવનારા 25 વર્ષ ભારત માટે નિર્ણાયક સાબિત થશે, જ્યાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં સૌથી મોટા પગલાં લઈ રહ્યું છે. આપણી દિશા સ્પષ્ટ છે અને ઇરાદો ભારત પ્રથમનો છે.’ વડાપ્રધાને અંતમાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

