'પરણેલા પત્ની પર હાથ ઉપાડે છે', પયગંબરના સમયમાં સ્ત્રીઓને સંપૂર્ણ અધિકારો હતાઃ ઔવેસી

સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ "આઈ લવ મોહમ્મદ" પોસ્ટર મુદ્દે વિરોધ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, જો તમે પોસ્ટર ઉઠાવીને વિરોધ કરવા જઈ રહ્યા છો તો એને ફેંકીને પાછા ન આવવું જોઈએ. ઔવેસીએ કહ્યું કે, તમે "આઈ લવ મોહમ્મદ" કહો છો, તો તમારે પોસ્ટરને દિલથી લગાવીને રાખો. એવું નથી કે તમે વિરોધ કરો અને પછી ફેંકી દો. પોસ્ટરો ઉપાડવા સરળ છે, પરંતુ તેમાંથી કંઈક શીખવું જોઈએ. કેટલા પરિણીત લોકો તેમની પત્નીઓ પર હાથ ઉપાડે છે? પયગંબર મોહમ્મદે ક્યારેય કોઈ સ્ત્રી પર આંગળી શુદ્ધાં ઉઠાવી નથી.
સ્ત્રીઓને સંપૂર્ણ અધિકારો હતા
ઓવૈસીએ કહ્યું કે, પયગંબર મોહમ્મદ પોતાના ઘરના કામ જાતે કરતા હતા. તમારી એવી હાલત છે કે તમે આવીને કહો કે ચા લાવો, પાણી લાવો.. જાતે કશું કરવું નહીં ને મનમાં જાણે કોઈ મોટો જિહાદ કરીને આવ્યા હોવ. AIMIM નેતાએ કહ્યું કે, આ વિચારવાનું છે કે, પયગંબર મોહમ્મદના સમયમાં સ્ત્રીઓ કેવી રીતે રહેતી હતી. ત્યારે સ્ત્રીઓને સંપૂર્ણ અધિકારો હતા. અભ્યાસ કરી શકતી હતી. તેમને રોકવામાં ન આવી કે તેઓ તાલીમ ના લઈ શકે.
વૃદ્ધ માતા પિતાને બોજ ના માનો
હૈદરાબાદના સાંસદે કહ્યું કે, આપણે સમજવું પડશે કે આપણી દીકરીઓ શિક્ષિત થાય. આઈ લવ મોહમ્મદ" નું પોસ્ટર ઉઠાવવાથી કંઈ નથી થઈ જતું. હકિકતમાં અસલી સવાલો તો અશરના મેદાનમાં થશે કે તમે જિંદગીમાં શું કર્યું. મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમને સંબોધતા ઓવૈસીએ એમ પણ કહ્યું કે, આજે ઘણા લોકો તેમના વૃદ્ધ માતાપિતાને બોજ માને છે. જમીન માટે લડે છે, અને કૌટુંબિક ઝઘડા થતા પરિવારમાં દિવાલ બની જાય છે.
શુક્રવારની નમાઝ પૂરતું મર્યાદિત ના હોવું જોઈએ
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, આપણે દરરોજ નમાઝ પઢવી જોઈએ. આ ફક્ત શુક્રવારની નમાઝ પૂરતું મર્યાદિત ના હોવું જોઈએ. રમઝાન દરમિયાન દરરોજ રોજા રાખવા જોઈએ. 2.5% જકાત( ધર્માદા) નો નિયમ હોય તો તેમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા વિનંતી કરતા કહ્યું કે, જો તમે નશો કરીને તમારા શરીરને નબળા પાડશો, તો સમુદાયની દિવાલો તૂટી જશે. જો ઘરની દિવાલો તૂટી જશે તો લોકો તેને ફરીથી બનાવી શકશે. પરંતુ જો તમે નબળા પડી જશો તો સમુદાય નબળો પડી જશે.

