અજિત પવારનું ચાર્ટર ઉડાવનાર કોણ હતી પાઇલટ શામ્ભવી પાઠક? જાણો તાલીમથી કોકપીટ સુધીની સફર

અજિત પવારનું પ્રાઈવેટ ચાર્ટર પ્લેન Learjet 45ના દુર્ઘટનામાં માત્ર દેશના એક વરિષ્ઠ નેતા જ નહીં પરંતુ ભારતીય કોર્પોરેટ ઉડ્ડયનના બે તાલીમ પામેલા પાઇલટ્સના જીવ પણ ગયા હતા. અજીત પવારની સાથે કોકપીટમાં 25 વર્ષીય કો-પાઇલટ શામ્ભવી પાઠક અને પાઇલટ-ઇન-કમાન્ડ સુમિત કપૂર હતા. જેમના કારકિર્દીના માર્ગો અલગ હતા પરંતુ તેમની છેલ્લી ઉડાન એક જ હતી.
એક યુવા ચહેરા તરીકે ઉભરી રહી હતી શામ્ભવી પાઠક
શામ્ભવી પાઠક દેશની નવી મહિલા પાઇલટ્સમાંની એક હતી કે જે કોર્પોરેટ અને ચાર્ટર એવિએશનમાં પોતાની જગ્યા બનાવી રહી હતી. ગ્વાલિયરની એરફોર્સ સ્કૂલમાં અભ્યાસ બાદ ઉડ્ડયન પસંદ કર્યું. તેણીએ મુંબઈ યુનિવર્સિટીમાં એરોનોટિક્સ/એવિએશનનો અભ્યાસ કર્યો અને પછી ન્યુઝીલેન્ડમાં કોમર્શિયલ પાઇલટ તાલીમ પૂર્ણ કરી.
તેણીની પાસે કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) અને ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર રેટિંગ (A) હતું. કારકિર્દીની શરૂઆતમાં મધ્યપ્રદેશ ફ્લાઈંગ ક્લબમાં જોડાઈ અને બાદમાં VSR એવિએશન માટે Learjet જેવા બિઝનેસ જેટ ઉડાવવાનું શરૂ કર્યું. ઓગસ્ટ 2022થી તેણી કોર્પોરેટ ચાર્ટર ઓપરેશન્સનો ભાગ રહી.
ઉડ્ડયન ઉદ્યોગના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, શાંભવી ટેકનિકલી રીતે સારી જાણકાર હતી અને લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે તાલીમ આપવામાં આવી રહી હતી. તેણીની કારકિર્દી હજુ શરૂઆતના તબક્કામાં હતી.
સુમિત કપૂર એક અનુભવી કમાન્ડર
Learjet 45 નું નેતૃત્વ કેપ્ટન સુમિત કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું, જે આ ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડ હતા. તેમને બિઝનેસ જેટ કામગીરીમાં એક અનુભવી પાઇલટ માનવામાં આવતા હતા. VSR એવિએશન સાથે સંકળાયેલા સુમિત કપૂરે અગાઉ Learjetજેવા હાઇ-સ્પીડ, શોર્ટ-રનવે જેટ ઉડાવ્યા હતા. જોકે તેમની શરૂઆતની કારકિર્દી અને તાલીમ વિશેની માહિતી જાહેર ક્ષેત્રમાં મર્યાદિત છે, તેમ છતાં તેમને ઉડ્ડયન વર્તુળોમાં એક વરિષ્ઠ અને વિશ્વસનીય જેટ પાઇલટ માનવામાં આવતા હતા.
એ નોંધનીય છે કે 2023 માં મુંબઈ એરપોર્ટ પર VSR એવિએશન Learjet 45 વિમાન ક્રેશ થયું હતું, જેની AAIB દ્વારા તપાસ કરવામાં આવી હતી. તે અકસ્માતમાં બધા મુસાફરો બચી ગયા હતા, પરંતુ હાલની ઘટનાએ ફરીથી કંપનીના સલામતી રેકોર્ડ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
એક ફ્લાઇટ, બે પેઢીઓ
શામ્ભવી પાઠક અને સુમિત કપૂર ભારતીય કોર્પોરેટ ઉડ્ડયનની બે પેઢીઓનું પ્રતિનિધિત્વ કરતા હતા. એક તરફ યુવા મહિલા પાઇલટ્સ અને બીજી તરફ અનુભવી પાયલટ્સ કે જેમણે અગાઉ ચાર્ટર ફ્લાઇટ્સનું નેતૃત્વ કર્યું હતું. આ ઘટના ફક્ત વિમાન દુર્ઘટના નથી, પરંતુ ચાર્ટર ઉડ્ડયન, પાઇલટ ડ્યુટી શેડ્યૂલ અને સલામતી ઓડિટનું નિરીક્ષણ કરતી સિસ્ટમ પર પણ સવાલ ઉઠાવે છે. જોકે AAIB તપાસ પછી જ સ્પષ્ટ થશે કે, આ અકસ્માત ટેકનિકલ નિષ્ફળતા, માનવ ભૂલ અથવા પ્રણાલીગત બેદરકારીનું પરિણામ હતું.

