'મુસ્લિમોને ડરાવનારાઓને છોડીશું નહીં', ઔરંગઝેબ વિવાદ વચ્ચે અજિત પવારે આપ્યું મોટું નિવેદન

મુંબઈમાં યોજાયેલી ઈફ્તાર પાર્ટીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારે સામાજિક સદ્ભાવનાના મહત્ત્વનો ઉલ્લેખ કરી ભારપૂર્વક કહ્યું કે, ‘મુસ્લિમોને ડરાવવાનો અને સાંપ્રદાયિક વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરનારાઓને કડકાઈથી જવાબ અપાશે અને આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે.
મુસ્લિમોને ડરાવનારાઓને છોડીશું નહીં
અજિત પવારે મુસ્લિમ સમાજને સમર્થન આપવાનું આશ્વાસન આપી કહ્યું કે, ‘જો કોઈ અમારા મુસ્લિમ ભાઈ-બહેનોને ડરાવવાની અથવા સાંપ્રદાયિક વિવાદ ઉભો કરવાની હિમ્મત કરશે તો તેને છોડવામાં નહીં આવે. હોળી, ગુડી પડવા અને ઈદ જેવા તહેવારો એકતાને પ્રોત્સાહન આપે છે.’
તહેવારો આપણને એક રાખવાનું શિખવાડે છે : પવાર
છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર, જ્યોતિબા ફુલે અને અન્ય અનેક મહાન નેતાઓએ પણ તમામ ધર્મો અને જાતિઓને સાથે રાખીને સામાજિક પ્રગતિનો માર્ગ દેખાડ્યો છે, તેથી આપણે આ વિરાસતને આગળ વધારવાની છે. ભારત એકતા અને વિવિધતાનું પ્રતિક છે. આપણે તાજેતરમાં હોળીની ઉજવણી કરી અને હવે ગુડી પડવા અને ઈદનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારો આપણને સાથે રાખવાનું શિખવાડે છે. આપણી અસલી તાકાત એકતામાં છે.’
IUMLની ઈફ્તાર પાર્ટીમાં વિપક્ષના નેતાઓ પણ થાય સામેલ
આ પહેલા ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ રાજધાની દિલ્હીમાં ઈફ્તાર પાર્ટી (Iftar Party)નું આયોજન કર્યુ ંહતું, જેમાં અનેક રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. ઈફ્તાર પાર્ટીમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સામેલ થયા હતા. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને સપા સાંસદ જયા બચ્ચન સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

