'શત્રુઓની સબમરીનનો કાળ INS માહેની એન્ટ્રી', ભારતીય નૌકાદળની તાકાત વધી

ભારતીય નૌકાદળની એન્ટી-સબમરીન વોરફેર ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે (24મી નવેમ્બર) એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC)ના પહેલા યુદ્ધ જહાજ INS માહેને કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં INS માહેનું કમિશનિંગ થયું હતું.
'આત્મનિર્ભર ભારત'નું પ્રતીક INS માહે
INS માહે માહે-ક્લાસનું પહેલું યુદ્ધ જહાજ છે અને તેને દુશ્મન સબમરીન સામેનું 'સાયલન્ટ હન્ટર' અને રક્ષણ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ ભારતીય નૌકાદળની 'આત્મનિર્ભરતા'ની નીતિનું ઉત્તમ ઉદાહરણ છે. INS માહે 80ટકાથી વધુ સ્વદેશી સામગ્રીથી તૈયાર કરવામાં આવ્યું છે, જે જહાજની ડિઝાઇન, બાંધકામ અને એકીકરણમાં ભારતની વધતી જતી કુશળતા દર્શાવે છે. આ યુદ્ધ જહાજનું નિર્માણ કોચીન શિપયાર્ડ ખાતે કરવામાં આવ્યું છે.
INS માહેની શક્તિઓ અને મિશન
78-મીટર લાંબુ આ ફ્રિગેટ ભારતીય નૌકાદળની પશ્ચિમી દરિયાકિનારે 'સાયલન્ટ હન્ટર' તરીકે સેવા આપશે. INS માહે આધુનિક સોનાર સિસ્ટમથી સજ્જ છે. તે દુશ્મન સબમરીનને ટ્રેક કરવા અને નાશ કરવામાં સક્ષમ છે. આ જહાજ મુખ્યત્વે છીછરા પાણીમાં દુશ્મન સબમરીનને શોધવા, દેખરેખ રાખવા અને હુમલો કરવા માટે રચાયેલું છે. તે એક સાથે અનેક મિશન પાર પાડવાની ક્ષમતા ધરાવે છે. નોંધનીય છે કે, INS માહેનો કાફલામાં સમાવેશ થવાથી ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બની છે.

