VIDEO/ ‘TMCના ગુંડાઓ શરણાગતિ સ્વીકારે, 4 મે પછી કોઈ બચશે નહીં’, PM મોદીનું ફાઈનલ અલ્ટીમેટમ
બાંકુરા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે બાંકુરા ખાતે એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ TMCના 'ગુંડાઓ અને સિન્ડિકેટ'ને અલ્ટીમેટમ આપતા કહ્યું કે, જો તેઓ સુધરશે નહીં તો પરિણામો ભોગવવા તૈયાર રહે.
‘આ અમારી લાસ્ટ વોર્નિંગ છે’
પીએમ મોદીએ મંચ પરથી ગર્જના કરતા કહ્યું, "હું TMCના તમામ ગુંડાઓ, સિન્ડિકેટ અને ભ્રષ્ટ તત્વોને છેલ્લી તક આપી રહ્યો છું. 29 એપ્રિલ પહેલા તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારી લો. યાદ રાખજો, 4 મે (ચૂંટણી પરિણામો) પછી કોઈને પણ છોડવામાં આવશે નહીં. બિષ્ણુપુરના માફિયાઓ અને TMCની સિન્ડિકેટ કાન ખોલીને સાંભળી લે, હવે આ અત્યાચાર સહન કરવામાં આવશે નહીં."
મહિલા અનામત મુદ્દે TMC પર પ્રહાર
વડાપ્રધાને આરોપ લગાવ્યો કે સંસદમાં મહિલા અનામત બિલને ટેકો ન આપીને TMCએ પશ્ચિમ બંગાળની મહિલાઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે કહ્યું કે, "TMC એ જ પાર્ટી છે જે ઘૂસણખોરોના ફાયદા માટે કાયદા તોડે છે અને ધર્મ આધારિત અનામતને પ્રોત્સાહન આપીને બંધારણના આત્માને ઠેસ પહોંચાડી રહી છે."
આદિવાસીઓના અપમાનનો મુદ્દો
પીએમ મોદીએ આદિવાસી કાર્ડ રમતા જણાવ્યું કે ભાજપે દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ (દ્રૌપદી મુર્મુ) આપ્યા, પરંતુ TMCએ હંમેશા તેમનું અને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે TMC નેતાઓ જે રીતે ધમકીભરી ભાષા વાપરી રહ્યા છે તે સાબિત કરે છે કે તેઓ હારના ડરથી ફફડી રહ્યા છે.
ભાજપના વાયદા
બંગાળમાં પરિવર્તનનો આહવાન કરતા મોદીએ વચન આપ્યું કે જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો:
-
ગરીબોને મફત રાશન અને આવાસ સહાય મળશે.
-
ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરાશે.
-
આદિવાસી અને વંચિત સમુદાયોના સશક્તિકરણ માટે વિશેષ યોજનાઓ અમલી બનશે.

