VIDEO/ સંદીપ પાઠકના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પંજાબ પોલીસ ત્રાટકી, ધરપકડથી બચવા સાંસદ પાછળના દરવાજેથી ભાગ્યા!

દિલ્હી/ચંદીગઢ: આમ આદમી પાર્ટી (AAP) છોડીને હાલમાં જ ભાજપ (BJP) માં જોડાયેલા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓમાં વધારો થયો છે. શનિવારે પંજાબ પોલીસની એક ટીમ તેમની ધરપકડ કરવા માટે દિલ્હી સ્થિત તેમના સરકારી આવાસ (Official Residence) પર પહોંચી હતી. જોકે, ધરપકડથી બચવા માટે સંદીપ પાઠક ઘરના પાછળના દરવાજેથી ભાગતા જોવા મળ્યા હતા, જેનો video સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બે ગંભીર FIR અને બિન-જામીનપાત્ર કલમો
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ પોલીસ દ્વારા સંદીપ પાઠક વિરુદ્ધ બે અલગ-અલગ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. આ બંને કેસ ગંભીર અને બિન-જામીનપાત્ર કલમો (Non-Bailable Sections) હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, આ કેસ કઈ બાબતે છે તેની સત્તાવાર વિગતો હજુ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી.
સંદીપ પાઠકનો પક્ષ
પોતાની સામે થયેલી કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, "મને આવી કોઈ FIR અંગે સત્તાવાર જાણકારી મળી નથી. મેં હંમેશા ઈમાનદારીથી દેશની સેવા કરી છે. જો મારા જેવા વ્યક્તિ સામે આવી કાર્યવાહી કરવામાં આવે છે, તો તે દર્શાવે છે કે તેઓ (AAP) કેટલા ડરેલા છે".
AAPમાં મોટું ગાબડું અને રાજકીય ભૂકંપ
નોંધનીય છે કે 24 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીના 10 માંથી 7 રાજ્યસભા સાંસદોએ પક્ષ છોડી દીધો હતો. જેમાં સંદીપ પાઠક ઉપરાંત રાઘવ ચઢ્ઢા (Raghav Chadha), હરભજન સિંહ અને સ્વાતિ માલીવાલ જેવા મોટા નામો સામેલ હતા. આ સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટી પોતાના મૂળભૂત સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને આ સાંસદોના ભાજપમાં જોડાવાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેના કારણે રાજ્યસભામાં 'આપ'નું સંખ્યાબળ ઘટીને માત્ર 3 થઈ ગયું છે.

